Thursday, October 1, 2015

‘હું પોતાને સનાતની હિંદુ કહું છું’ - મો. ક. ગાંધી

૨જી ઑક્ટોબર, ૨૦૧૫ : ગાંધીજયંતી નિમિત્તે
સનાતન હિન્દુધર્મ વિશે મહાત્મા ગાંધીજીના
પ્રેરક વિચારો...

‘હું પોતાને સનાતની હિંદુ કહું છું’ - મો. ક. ગાંધી

‘રેંટિયા બારશ’ તરીકે જેમનો જન્મદિન સમસ્ત ભારતવર્ષમાં વિખ્યાત થયો; એ સુદામાપુરી-પોરબંદરના વૈષ્ણવ-વણિક પરિવારમાં જન્મેલ, મોહનદાસમાં એવું તે શું હતું કે; સ્વયં નેતાજી સુભાષચંદ્ર બોઝે એમને ‘રાષ્ટ્રપિતા’ તરીકે સન્માનેલા?! એકતરફ ઘરઆંગણે લાલ-બાલ-પાલના નેતૃત્વમાં હિંદી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ) સ્વાતંત્ર્ય આંદોલન-યજ્ઞને પ્રજ્જ્વલિત કરી રહી હતી... અને સ્વામી વિવેકાનંદ ‘શિકાગો’ વ્યાખ્યાન થકી જાગતિક મંચ ઉપર ભારતવર્ષની વૈશ્ર્વિક - સંવાદિતાની આધ્યાત્મિક-જ્યોત પ્રગટાવી રહ્યા હતા; તો આ તરફ શ્રી અરવિંદ માતૃભૂમિની પુકાર પર વડોદરા રાજની માન-અકરામવાળી નોકરીને તિલાંજલિ આપી, બંગભંગ વિરોધી સ્વાધીનતા સંગ્રામના મહાનાયક બનવા કલકત્તા જઈ પહોંચેલા! ત્યારે બીજીતરફ બૅરિસ્ટર મોહનદાસ ગાંધી, દક્ષિણ આફ્રિકામાં માનવગૌરવ અને માનવમાત્રની સમતામૂલક સ્વાધીનતાના સત્યાગ્રહી-સંગ્રામની મશાલ પ્રદીપ્ત કરી રહ્યા હતા. બૅરિસ્ટર મોહનદાસ પણ વિવેકાનંદ - અરવિંદની પરંપરામાં ભારતમાતાના મહાન સપૂત હતા... જેમણે સનાતન હિંદુધર્મના મહાન આદર્શોને જીવનમાં આચરીને ન કેવળ ભારતમાં, પરંતુ વૈશ્ર્વિક-સ્તરે પણ ‘મહાત્મા’નું ગૌરવપદ પ્રાપ્ત કરીને... સુદૂર સંયુક્ત-રાજ્ય અમેરિકામાં પણ; અબ્રાહમ લિંકનની હરોળનું સન્માન પ્રાપ્ત કરી, માર્ટીન લ્યૂથર કિંગ (જુનિયર), જ્હોન કેનેડી અને બરાક ઓબામાનું પણ ગુરુપદ પ્રાપ્ત કર્યું. આ બીજી ઑક્ટોબરે ૧૪૭મી ગાંધી-જયંતીના સુમંગલ અવસરે; સનાતન હિન્દુધર્મ વિશેનાં તેમનાં વિચારો પ્રાસંગિક-પ્રેરણાદાયી બની રહેશે...
‘હિંદુ ધર્મનો અનુયાયી હોવામાં મને ગૌરવનો  અનુભવ થાય છે.’... : મહાત્મા ગાંધી

ગાંધીજી સત્ય - અહિંસાના તેમના આદર્શોથી સમગ્ર રાષ્ટ્રના સન્માનિત ‘બાપુ’ તો બની રહ્યા... એ સાથે જ તેમની માનવીય સંસ્પર્શયુક્ત કરુણા અને સંવેદનશીલતાથી વિશ્ર્વવંદ્ય પણ બન્યા. એના મૂળમાં તેમના પ્રારંભિક જીવનમાં રહેલ ‘રામ નામ’માં શ્રદ્ધા અને ‘વૈષ્ણવજન’ ભક્તિ-કાવ્યમાં પ્રગટ થયેલ અને પાછળથી જેનો ‘એકાદશ-વ્રત’ તરીકે મહિમા થયો છે - એ સનાતન હિંદુધર્મનાં શાશ્ર્વત જીવનમૂલ્યો પ્રત્યેની ગાંધીજીની પરમનિષ્ઠા કારણભૂત છે. ગાંધીજીએ જરા પણ સંકોચ વગર ઉચ્ચાર્યું છે : ‘હિંદુ ધર્મનો અનુયાયી હોવામાં મને ગૌરવનો અનુભવ થાય છે.’ ... ‘વળી, હિંદુ સમાજ મને સનાતની હિંદુ તરીકે સ્વીકારે છે ત્યાં સુધી હું પોતાને સનાતની હિંદુ કહું છું... વહેવારની ભાષામાં કહીએ તો, જે ઈશ્ર્વરને માને છે, જે નિત્ય વ્યવહારમાં સત્ય અને અહિંસાનું આચરણ કરે છે, અને તેથી વિશાળ અર્થમાં ગોરક્ષા કરે છે અને જે વર્ણાશ્રમ-વ્યવસ્થા અનુસાર (તેના મૂળ સ્પિરિટમાં) કર્મ કરે છે, તે હિંદુ છે’... હિંદુ ધર્મનું એ સદ્ભાગ્ય છે અથવા દુર્ભાગ્ય છે કે એમાં કોઈ સત્તાવાર સંપ્રદાય નથી. એટલે કોઈ પણ પ્રકારની ગેરસમજથી મારી જાતને ઉગારવા માટે મેં કહ્યું છે કે સત્ય અને અહિંસા મારો ધર્મ છે. જો કોઈ મને હિંદુધર્મની વ્યાખ્યા આપવાનું કહે, તો હું એટલો જ જવાબ આપું કે હિંદુધર્મ એટલે અહિંસક સાધનો દ્વારા સત્યની શોધ. કોઈ માણસ ઈશ્ર્વરમાં માનતો હોય કે ન પણ માનતો હોય છતાં તે પોતાની જાતને હિંદુ કહેવડાવી શકે છે. મક્કમપણે સત્યની ખોજ કર્યા જ કરવી એનું નામ હિંદુધર્મ. જો આ ધર્મ હાલમાં મૃત:પ્રાય, નિષ્ક્રિય અને જડ બન્યો હોય, તો તેનું કારણ એ છે કે આપણે થાકી ગયા છીએ, પરંતુ આપણો થાક ઊતરી જતાં તુરત જ, હિંદુ ધર્મ કદાચ પહેલાં કદી નહીં જોવામાં આવ્યું હોય એવા પ્રખર તેજ સાથે વિશ્ર્વમાં ઝળકી ઊઠશે... હિંદુ ધર્મ બધા ધર્મો કરતાં સૌથી વધારે સહિષ્ણુ છે. એના સિદ્ધાંતો સર્વગ્રાહી છે.’ (‘હિંદુ ધર્મનું હાર્દ’ : સંપાદક : વિશ્ર્વાસ બા. ખેર, નવજીવન પ્રકાશન, પૃષ્ઠ ૩થી ૬... એપ્રિલ, ૨૪, ૧૯૨૪ના ‘યંગ ઇન્ડિયા’માં ગાંધીજીના લખાણને આધારે...)

ઉપરોક્ત પુસ્તકમાં પ્રારંભમાં જ ગાંધીજી જણાવે છે કે, સિંધુ નદીની પૂર્વમાં આવેલા દેશમાં વસતા લોકોને ગ્રીક લોકો ‘સ’ને બદલે ‘હ’ ઉચ્ચારણ કરી, ‘હિંદુ’ કહેવા લાગેલા. તેથી એ મુલકના વતનીઓનો ધર્મ ‘હિંદુ’ નામથી ઓળખાયો અને તમે સૌ જાણો છો કે, એ ધર્મ સૌથી વધારે સહિષ્ણુ ધર્મ છે. જુલમથી ત્રાસીને ભાગી છૂટેલા પ્રાચીન ખ્રિસ્તીઓને તેણે આશ્રય આપ્યો હતો. ઇઝરાયલના યહૂદીઓને પણ તેણે આશરો દીધો હતો અને ઈરાનથી એવા જ જુલમથી ત્રાસીને ભાગી નીકળેલા પારસીઓને પણ તેણે જ સંઘર્યા હતા. આવો જ ધર્મ પોતાની વ્યવસ્થામાં સર્વને સમાવી લેવાને હંમેશાં તત્પર છે અને જે ધર્મ સહિષ્ણુતાની હંમેશ હિમાયત કરતો આવ્યો છે તે હિંદુ ધર્મનો અનુયાયી હોવામાં મને ગૌરવનો અનુભવ થાય છે.’

સનાતન હિંદુ ધર્મ એ સંદર્ભમાં ‘સનાતન’ છે કે તેનું જીવનદર્શન, જીવનમૂલ્યો અને અધ્યાત્મ-દર્શન ચિરકાલીન છે. એ દેશાતીત, કાલાતીત છે... એટલે જ એ સાર્વદેશિક, સાર્વભૌમ અને અખિલાઈમાં વિહરતું સર્વોચ્ચ કોટિનું બૌદ્ધિક પ્રતિભાસંપન્ન ચિંતન છે... આ અર્થમાં ‘સનાતન’ એટલે યુનિવર્સલ... ઇટર્નલ વૈશ્ર્વિક... સાર્વદેશિક, સર્વકાલિક છે. તેથી જ તેનો કોઈ આદ્યસંસ્થાપક નથી... કે નથી કોઈ એનું એક માત્ર અધિકૃત પુસ્તક... ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ તેમના ‘હિંદુ વ્યૂ ઓફ લાઇફ’માં જણાવે છે : ‘હિંદુ ધર્મ એ કોઈ બંધિયાર સરોવર નથી, પરંતુ નિત્ય વહેતું ચૈતન્યમય ઝરણું છે. પરિપક્વ ફળ નહીં, પરંતુ વિકસતું વૃક્ષ છે. હિંદુધર્મ અને હિંદુદર્શન એ કોઈ અંધ-માન્યતાઓનું પોટલું નહીં; પરંતુ આકાશ સદૃશ વ્યાપક વિચાર છે...’ આવા સનાતન સિદ્ધાંતોથી પ્રેરિત હિંદુધર્મના વ્યવહારુ આયામો કયા છે? અને એ સંદર્ભમાં મહાત્મા ગાંધીજી એ વિશે શું વિચારતા અને આચરતા એ જાણવું હાલના સંદર્ભમાં અત્યંત પ્રાસંગિક છે. 

ગાંધીજીના મત મુજબ હિંદુ ધર્મના મુખ્ય આયામો... 

(૧) મત સહિષ્ણુતા કે ઉદારમતવાદ, (૨) પ્રકૃતિમાતા સાથેની આત્મીય-સંવાદી જીવનશૈલી, (૩) ઋષિ અને કૃષિ - સંસ્કૃતિના કેંદ્રમાં ગોરક્ષા અને ગો-સંવર્ધન, (૪) વ્યક્તિ-જીવન અને સામૂહિક જીવનમાં સદાચરણ અને નીતિમત્તા, (૫) સાધ્ય-સાધનમાં શુદ્ધિ અને નૈતિકતાની અનિવાર્યતા,
(૬) વૈષ્ણવજનનો આદર્શ : એકાદશ વ્રત, (૭) સ્વધર્મ અને સ્વરાજનું અભિન્નત્વ, (૮) ગીતાનું તત્ત્વજ્ઞાન : ભારતીય ચિંતનનું નવનીત, (૯) જાહેર જીવનમાં આદર્શવાદ : ‘રામરાજ્ય’ની સંકલ્પના, (૧૦) વિશ્ર્વ બંધુત્વ અને વૈશ્ર્વિક-સંવાદિતા (૧૧) ભારતની સમસ્યાઓનો ગાંધી ઉકેલ... (ક) સ્વદેશી (ખ) વિકેંદ્રીકરણ (ગ) ગ્રામ-સ્વરાજ (ઘ) અંત્યોદય (ચ) મનુષ્યકેંદ્રી કેળવણી વ્યવસ્થા અને તદ્અનુરૂપ વિકાસ-મૉડલ (છ) વસ્તી-વૃદ્ધિની સમસ્યાનો ઉકેલ... સંયમિત જીવન અને શક્ય હોય ત્યાં સુધી મશીનને સ્થાને વધુ હાથ દ્વારા વધુ ઉત્પાદન અને તેની ન્યાયી વહેંચણી. (જ) ભારતીય સંસ્કૃતિની મેઘધનુષી સંકલ્પનાનું સંરક્ષણ અને સંવર્ધન. (ઝ) સ્વતંત્ર - સશક્ત સુસંપન્ન ભારતવર્ષ - એકરસ-આત્મીયપૂર્ણ ભારતવર્ષ; વૈશ્ર્વિક સ્વાધીનતા - સમરસતા અને માનવની ઊર્ધ્વગતિ માટેનું સશક્ત-સંબલ...!
આ સંદર્ભમાં સ્વયં ગાંધીજીએ ઉચ્ચાર્યંુ છે : મારી વાતમાં નવું કાંઈ જ નથી. ભારતીય-દર્શન અને સનાતન હિંદુધર્મની પ્રાચીન પરંપરામાં એ સઘળું સુપેરે સમાવિષ્ટ છે જ. સાંપ્રત રાષ્ટ્રીય સમસ્યાઓ હોય કે આંતર્રાષ્ટ્રીય સમસ્યાઓ. ગાંધીદર્શનમાં એ સહુનો રચનાત્મક ઉકેલ જોવા મળે છે. વાત આપણી ઋષિ-કૃષિ સંસ્કૃતિના કેન્દ્રમાં રહેલ ગોરક્ષાની હોય કે, પર્યાવરણ-રક્ષાની, શોષણવિહીન ન્યાયી સમાજ-વ્યવસ્થાની વાત હોય કે, જાહેર-જીવન અને રાજનીતિમાં ઉચ્ચ નૈતિક મૂલ્યોના સંરક્ષણ-સંવર્ધનની, મનુષ્યકેન્દ્રી આર્થિક વિકાસની બાબત હોય કે રાષ્ટ્રીય એકતાની... સ્વદેશી, સ્વાવલંબન, વિકેન્દ્રીકરણ કે ગ્રામ-સ્વરાજની વાત હોય કે, ખાદી, કુટીર-ઉદ્યોગ, ગ્રામોદ્યોગની બાબત હોય... આ સઘળી બાબતોના વિમર્શમાં આજે દેશમાં અને વૈશ્ર્વિક સ્તરે ગાંધીદર્શનમાં તે સઘળી સમસ્યાઓના ઉકેલની ગુરુચાવી છે. મહાત્મા ગાંધીજીની વાત આપણી સનાતન હિંદુ-સંસ્કૃતિ અને ભારતીય દર્શનના પાયા ઉપર જ સુપ્રતિષ્ઠ છે. એટલે તો ગાંધીજીએ સામાન્ય માનવીને અપીલ થાય એવા, વિદેશી અંગ્રેજ શાસનના મીઠા ઉપરના અન્યાયી કરવેરાને નિમિત્ત બનાવી, ઐતિહાસિક દાંડીકૂચ દ્વારા સ્વરાજ-સંઘર્ષને જનઆંદોલનમાં રૂપાંતરિત કરેલ. આ અર્થમાં ગાંધી-વિચાર એ સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, લાલ-બાલ-પાલની પરંપરાનો જ નવ- ઉન્મેષ છે. સાંપ્રત સંદર્ભમાં આ જ વાત પં. દીનદયાલ ઉપાધ્યાયજીના ‘એકાત્મ માનવ દર્શન’ રૂપે આજે આપણા વિમર્શનું કેન્દ્ર બનેલ છે. દીનદયાલજીનું દર્શન એ સનાતન ભારતીય દર્શનના ગાંધીમુકામથી, વિચાર-યાત્રાનું આગળનું સોપાન છે એમ નિ:શંક કહી શકાય...

‘સ્વદેશી’

આજે જ્યારે આપણે એફ.ડી.આઈ.ના માહોલમાં છીએ ત્યારે; ગાંધીજીની ‘સ્વદેશી’ની વિભાવનાની પ્રસ્તુતતા - રેલેવન્સ - કેવી? - કેટલી ?
ગાંધીજી ‘વિદેશી’ના વિરોધી નહોતા, પરંતુ એ ‘સ્વદેશી’ને ભોગે ન હોઈ શકે તેવું સ્પષ્ટ માનતા. ગાંધીજીની સ્વદેશીની સંકલ્પના એટલે : રોજબરોજના જીવનમાં આપણી આસપાસની સહજ ઉપલબ્ધ ચીજવસ્તુઓના ઉપયોગનો આગ્રહ એટલે : ‘સ્વદેશી’. આ સંદર્ભમાં આપણા નજીકના ખેતરમાં પાકતી સ્થાનિક શેરડીમાંથી બનતો દેશી ગોળ એ સુદૂર મહારાષ્ટ્રમાં બનતા કોલ્હાપુરી ગોળને મુકાબલે ‘સ્વદેશી’ની સંકલ્પનાની વધુ નજીક છે. એ જ રીતે ગુજરાત-૧૭ ચોખા એ દહેરાદૂની બાસમતી ચોખાને મુકાબલે સ્વદેશીની વધુ નજીક છે; એ થયો ગાંધીજીનો ‘સ્વદેશી’ વિચાર.

જાહેરજીવનમાં આદર્શવાદ - ‘રામરાજ્ય’ની સંકલ્પના...

ગાંધીજીને જ્યારે પૂછવામાં આવ્યું કે સ્વરાજની આપની સંકલ્પનાને આપ કઈ રીતે વર્ણવશો? પ્રત્યુત્તરમાં ગાંધીજીએ તત્કાળ જણાવ્યું, ‘મારે મન સ્વરાજ એટલે રામરાજ્ય.’ રામરાજ્યની સંકલ્પનામાં ગાંધીજી એવું સ્વપ્ન સેવે છે કે, રામરાજ્ય એટલે ન્યાયી-સમાજ, શાસનકર્તા અને જનતા વચ્ચેનો સ્નેહસેતુ... ઉભય વચ્ચે સંવાદ અને સુસંવાદિતા. શાસનકર્તાનો એક માત્ર ધર્મ - રાજધર્મ. એ રાજધર્મને નિભાવવા નિજી જીવનમાં શાસકને ગમે તેટલું વેઠવું પડે તો પણ (યાદ કરીએ રામનું હૃદય વલોવતો સીતા-ત્યાગ પ્રસંગ) કર્તવ્યભાવથી સર્વોચ્ચ આદર્શ માટે સમર્પિતભાવથી વર્તવું - જીવવું; એને ‘રાજધર્મ’ તરીકે ગાંધીજીએ સુપ્રતિષ્ઠ કર્યો છે.

ગાંધીદર્શન અને ગાંધીવિચારના આત્મીય મૂલ્યાંકન સંદર્ભમાં એમ કહી શકાય કે, ગાંધીજીનું સમગ્ર જીવન અને ચિંતન આપણી તળ ધરતીમાંથી પ્રગટ થયું છે. ગાંધીવિચાર-આચારમાં ભારતવર્ષની માટીની મહેંકની ઊંડી અનુભૂતિ થઈ આવે છે. હાલના માહોલમાં જ્યારે ‘સેક્યુલરિઝમ’ને નામે - કથિત ‘ધર્મનિરપેક્ષતા’ને નામે ક્યારેક રાજકીય સ્વાર્થવશ આપણા વિમર્શમાં આપણે જ્યારે ‘ગાંધીજી વિરુદ્ધ સાવરકરજી’ કે  ‘ગાંધીજી વિરુદ્ધ સુભાષબાબુ’ એવી પ્રસ્તુતિ કરીએ છીએ ત્યારે; આ મહાનુભાવો આપણી મૂર્ખામી ઉપર અવશ્ય હસતા હશે! ભારતમાતાના આ સઘળા મહાન સપૂતોએ એમની બુદ્ધિ-શક્તિ-કૌશલ્ય પ્રમાણે; તેમના સમર્પિત જીવનપુષ્પ દ્વારા ભારતમાતાના ચરણોમાં પુષ્પ-પૂજા કરી છે. ભારતમાતાને એ સઘળાં જીવનપુષ્પો એક સમાન વ્હાલાં છે એ રખે ભૂલીએ!
આ સંદર્ભમાં ‘ગાંધીવાદ’ જેવું કશું નથી. એ તો છે ભારતવર્ષની સનાતન ધારા... એની ‘હોલસેલ ડીલરશીપ’ ગાંધીજીએ કોઈને પણ આપી નથી! તેથી એક તરફ ‘ગાંધીવાદ’ વિરુદ્ધ ‘રાષ્ટ્રવાદ’ જેવું કશું હોઈ શકે નહીં. એવી જ રીતે મહાત્મા ગાંધીએ કાળજીથી ઉછેરેલી કોંગ્રેસ પણ; ‘નવા ગાંધી’ના પરિવારવાદમાં ગૂંગળામણ અનુભવે છે તેની વિમુક્તિ પણ અનિવાર્ય છે!
ભારતવર્ષ ‘અનેકાંત’ દર્શનમાં ઊછર્યું છે અને પાંગર્યું છે. અહીં ઈશ્ર્વરવાદી અને નિરીશ્ર્વરવાદીની સહોપસ્થિતિ અને સન્માન છે. એટલે તો ભારતીય સંસ્કૃતિને મેઘધનુષી-સંસ્કૃતિનું ગૌરવ મળ્યું છે. તેથી જ, ‘તેરે સૂર ઔર મેરે ગીત દોનોં મિલકર બનેગી પ્રીત!’ એ સુખ્યાત ગીતમાં સ્વર લતાજીનો છે... શરણાઈનું પાર્શ્ર્વસંગીત બિસ્મિલ્લાખાનનું છે! ઉભય ભારતમાતાનાં શ્રેષ્ઠ સંતાનો છે! આવો સૂરિલો સંવાદી - સમાજ ગાંધીજીનું સ્વપ્ન હતું !

ગાંધીજીના ચિંતનમાં ‘રાષ્ટ્રધર્મ’ અને ‘માનવધર્મ’ એ અલગ-અલગ સંકલ્પનાને બદલે પરસ્પર પૂરક - ધારક અને ઉદ્ધારક તત્ત્વરૂપ હતાં... એટલે તો ગાંધીજીએ તેમની વિખ્યાત ઉક્તિમાં કહ્યું છે : ‘હું મારા ઘરનાં તમામ બારી-બારણાં ખુલ્લાં રાખવા ઇચ્છું છું; જેથી સમગ્ર વિશ્ર્વના પવન મારા ઘરમાં પ્રવેશી શકે, પરંતુ એ સાથે જ મારા પગ હું મજબૂતાઈથી મારા ઘરમાં ખોડી રાખવા માગું છું; જેથી એ બહારના પવનથી, મારા પગ ઊખડી ન પડે!’ આવી હતી ગાંધીજીની ‘ઘરે-બાહિરે’ સંદર્ભમાં અનુભૂતિ અને અભિવ્યક્તિ!

અંત્યોદય

મહાત્મા ગાંધીજીએ દેશજનતાને માર્મિક અપીલ કરતાં ઉચ્ચાર્યું છે કે, જ્યારે પણ તમને કોઈ કાર્ય કરવું યોગ્ય છે કે અયોગ્ય? - આવો પ્રશ્ર્ન મૂંઝવે ત્યારે એમ કરવાથી આપણા સહુથી છેવાડાના દીન-હીન-અકિંચનનું હીત થાય છે કે નહીં? એ બાબતને કસોટીનો પથ્થર સમજી, જે તે બાબતનો આખરી નિર્ણય કરવો રહ્યો. મહાત્મા ગાંધીજીને આ વિચાર રસ્કિનના ‘અન ટુ ધિસ લાસ્ટ’માંથી પ્રાપ્ત થયા છે. આજકાલ આપણે જે મહાન દાર્શનિકની જન્મશતાબ્દી ઉજવણીનો પ્રારંભ  કરી રહ્યા છીએ એ, પં. દીનદયાલ ઉપાધ્યાયજીએ તેને માટે ‘અંત્યોદય’ શબ્દપ્રયોગ કર્યો છે. ગાંધીદર્શનમાં આ વિભાવનાને સર્વોચ્ચ પ્રાથમિકતાનું સ્થાન પ્રાપ્ત થયેલ છે.

Tuesday, September 15, 2015

ડ્રાઇવર દિલવાળો

ડ્રાઇવર દિલવાળો

સમાજસેવા કરવી હોય કે જરૂરિયાતમંદ લોકોને સહાયરૂપ બનવું હોય તો તમારી પાસે લાખો-કરોડો રૂપિયા હોવા જરૂરી નથી કે જરૂર નથી કોઈ સોશ્યલ વર્કરની પદવીની. દિલમાં ચાહ હોય અને કરુણા હોય તો કોઈ પણ વ્યક્તિ અન્ય લોકો સુધી મદદનો હાથ લંબાવી શકે છે એ સાબિત કર્યું રિક્ષા-ડ્રાઇવર રામલાલ ચૌધરીએ.
૨૬ વર્ષનો રિક્ષા-ડ્રાઇવર રામલાલ તેની રિક્ષામાં બેસનારા શારીરિક રીતે અક્ષમ લોકોને રિક્ષાભાડામાં ૧૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપે છે.
          ‘અપંગ વ્યક્તિ કો ૧૦ રૂપિયે કા ડિસ્કાઉન્ટ’ એમ રિક્ષાની પાછળના ભાગમાં મોટા અક્ષરોમાં લખાવનાર રામલાલ જોઈ ન શકતા, શારીરિક રીતે અક્ષમ કે ઈવન કમર પર મેડિકેટેડ બેલ્ટ બાંધનાર વ્યક્તિ પાસેથી જે ભાડું થયું હોય એના કરતાં દસ રૂપિયા ઓછા લે છે. અરે, મીટરભાડું ૧૮ રૂપિયા થયું હોય તો પણ આ બડા દિલવાળો રિક્ષાવાળો ૧૦ રૂપિયા ડિસ્કાઉન્ટ આપીને આવા ઉતારુઓ પાસેથી ફક્ત આઠ રૂપિયા જ ભાડું લે છે. ૨૦૧૨ના જાન્યુઆરી મહિનાથી આવી સેવા શરૂ કરનાર રામલાલ કહે છે કે શારીરિક રીતે અક્ષમ લોકોને ભગવાને કેટલીયે તકલીફો આપી છે તો મારે મારી રીતે તેમને મદદ કરવી જોઈએ.




મંદિરમાં ચઢાવા રૂપે ડુંગળી - સાંભળ્યું છે ક્યાંય...?

મંદિરમાં ચઢાવા રૂપે ડુંગળી - સાંભળ્યું છે ક્યાંય...?



દેશમાં દિનપ્રતિદિન ડુંગળીના ભાવમાં થઈ રહેલા વધારાએ રસોઈનો સ્વાદ બગાડી નાખ્યો છે ત્યારે જાણીને આશ્ર્ચર્ય થશે કે, રાજસ્થાનમાં ગોગામેડી નામનું એક નગર આવેલું છે. અહીંના ગોગાજી અને ગુરુ ગોરખનાથ મંદિરમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે ડુંગળી અને દાળ ચડાવવામાં આવે છે. પરિણામે મંદિરમાં ડુંગળી અને દાળના ઢગલા લાગે છે. એક દંતકથા મુજબ એક હજ્જાર વર્ષ પહેલાં આ સ્થળે ગોગાજી અને મહંમદ ગઝની વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં ગોગાજીની સહાય માટે આવેલા આજુબાજુના રજવાડી સૈનિકો જમવા માટે સાથે ડુંગળી અને દાળ લાવ્યા હતા. બાદમાં ગોગાજી વીરગતિ પામ્યા હતા. તો પાછા વળતાં સૈનિકો દાળ અને ડુંગળી ગોગાજીની સમાધિ પર મૂકતા ગયા હતા. ત્યારથી આ પરંપરા ચાલી આવી છે.






ગુજરાતમાં ચાલતા અનામત આંદોલન બાબતે રા.સ્વ. સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ ડૉ. મનમોહન વૈદ્ય સાથે વાર્તાલાપ

"સમરસતાથી જ સમાજ શક્તિશાળી બનશે"
ગુજરાતમાં ચાલતા અનામત આંદોલન બાબતે
રા.સ્વ. સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ
ડૉ. મનમોહન વૈદ્ય સાથે વાર્તાલાપ
                                      - કિશોર મકવાણા તથા શિરિષ કાશીકર

ડૉ. મનમોહન વૈદ્ય 

* લોકતંત્રમાં કોઈને પણ પોતાની વાત રજૂ કરવાની કે માગણી કરવાની સ્વતંત્રતા છે, એમાં    કોઈ બેમત નથી. પરંતુ કોઇપણ આંદોલન કે વાત સમાજને તોડનારું કે દેશને નુકસાન          કરનારું ન હોઈ શકે.


* મા.ગો. વૈદ્ય સંઘના પદાધિકારી નથી, એ એમના પોતાના વિચારો છે. સંઘને એમના              વિચારો સાથે જોડીને કોઇ મનઘડંત અહેવાલ છાપવો યોગ્ય નથી.


* સંઘના સરસંઘચાલક માનનીય મોહનજી ભાગવતે પણ કહ્યું છે કે, "જે લોકો સામાજિક           ભેદભાવનો ભોગ બન્યા છે, એ જ્યાં સુધી બાકીના સમાજની હરોળમાં ન આવે ત્યાં સુધી         અનામત વ્યવસ્થા ચાલુ રહેવી જોઈએ.


* આર્થિક રીતે પછાત છે એવા બધા જ વર્ગના લોકો માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.    પરંતુ સમગ્ર સમાજમાં આત્મસન્માનનો ભાવ વધવો જોઈએ, કે જેથી આવી કોઈ                    વ્યવસ્થાની જરૂરિયાત જ ન રહે.


* બિનરાજકીય સમાજ ચિંતકો અને વિશેષજ્ઞોની એક સમિતિ બનાવવી જોઈએ. આ સમિતિ     દ્વારા સંપૂર્ણ ચિત્ર સમાજ સામે મૂકવું જોઈએ. એના દ્વારા જે અહેવાલ રજુ થાય એ સૌએ           સ્વીકારવો જોઈએ.



1) ગુજરાતમાં ચાલી રહેલા અનામતની માંગણીના આંદોલનને

     સંઘ કયા દૃષ્ટિકોણથી જુએ છે ?

લોકતંત્રમાં કોઈને પણ પોતાની વાત રજૂ કરવાની કે માગણી કરવાની સ્વતંત્રતા છે, એમાં કોઈ બેમત નથી. પરંતુ કોઇપણ આંદોલન કે વાત સમાજને તોડનારું કે દેશને નુકસાન કરનારું ન હોઈ શકે. અત્યારનું આંદોલન ચાલે છે એમાં સમાજમાં ભાગલા પાડનારા અને અરાજક્તા નિર્માણ કરનારા તત્ત્વો ભળી ન જાય એની કાળજી રાખવી જોઈએ. કારણ હાર્દિક પટેલે મહારેલીમાં ઉચ્ચારેલા શબ્દો : ‘હિન્દુસ્થાન કો અપની ઓકાત દિખા દેંગે...’ અને ‘રાવણ કી લંકા જલા દેંગે...’ આવી ભાષાથી કોઈપણ દેશભક્તોને ચિંતા થાય છે. આવું આંદોલન સમાજ માટે ઘાતક બની શકે છે.

2) અનામત વ્યવસ્થા બાબતે સંઘ શું માને છે ? સમાજના કેટલાક સમુદાય જાતિ આધારિત અનામત સામે અણગમો વ્યક્ત કરી તેને રદ કરવાની માંગણી કરે છે, આ સંદર્ભે સંઘનું શું વલણ છે ?

ભારતમાં કોઇક કારણસર અસ્પૃશ્યતાની વિકૃતિ પ્રવેશી. આપણા જ એક વર્ગના લોકોને અન્યાયપૂર્વક, અપમાનિત રીતે અનેક સામાજિક સુવિધાઓ અને સન્માનથી વંચિત રાખવામાં આવ્યા. સામાજિક ભેદભાવ અને અસ્પૃશ્યતા આપણા સમાજની વિષમતાનું એક અત્યંત દુ:ખદ અને દુર્ભાગ્યજનક પાસુ છે. આવા આપણા બાંધવોને સમાજના અન્ય વર્ગની સાથે લાવવા માટે આપણા બંધારણ નિર્માતાઓએ અનામતની વિશેષ વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા સાથે સંઘ સંપૂર્ણપણે સહમત છે અને સમાજમાં જ્યાં સુધી સામાજિક વિષમતા અને અસ્પૃશ્યતા હયાત છે ત્યાં સુધી એસ.સી., એસ.ટી. માટેની અનામત વ્યવસ્થા ચાલુ રહેવી જોઈએ, જે દિવસે સમાજમાંથી સામાજિક અસમાનતા અને આભડછેટ નાબૂદ થશે સમાજમાં સમાનતા-સમરસતાનું વાતાવરણ નિર્માણ થશે ત્યારે અનામતની જરૂરિયાત જ નહીં રહે. ડૉ. બાબાસાહેબ આંબેડકર જેમણે પોતે પણ આવી સામાજિક વિષમતા અને અન્યાયની વેદના અનુભવી હતી એ પણ માનતા હતા કે અનામત વ્યવસ્થા કાયમ રાખવી યોગ્ય નથી. અનામતની જરૂર જ ન રહે એવી સ્થિતિ સમાજમાં નિર્માણ થવી જોઈએ. સંઘના સરસંઘચાલક માનનીય મોહનજી ભાગવતે પણ કહ્યું છે કે "જે લોકો સામાજિક ભેદભાવનો ભોગ બન્યા છે, એ જ્યાં સુધી બાકીના સમાજની હરોળમાં ન આવે ત્યાં સુધી અનામત વ્યવસ્થા ચાલુ રહેવી જોઈએ. હવે હિન્દુ સમાજની જવાબદારી છે કે અસમાનતા દૂર કરી સમાજમાં સમતા-સમરસતા પ્રસ્થાપિત કરે. અનામતની જરૂરિયાત નહીં રહે, એટલે સૌ પહેલા સામાજિક વિષમતા દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ.
દુર્ભાગ્યે આ વિષયની રાજનીતિ શરૂ થઇ ગઇ અને જાતિ વ્યવસ્થાને વોટબેંક તરીકે જોવાની વૃત્તિ વધી રહી છે એટલે અનામત વ્યવસ્થામાં નવા-નવા સમાજના સંપન્ન વર્ગને પણ અનામત આપવાની કે માગવાની માંગણી જોર પકડી રહી છે. રાજનીતિથી પ્રેરિત નેતાઓ વોટબેંકની લાલચના કારણે આવી માગણીને વશ થઈ રહ્યા છે. વાસ્તવમાં અનામત વ્યવસ્થાનો લાભ જેમને મળે છે, એમની સમગ્ર સ્થિતિનો અભ્યાસ થાય એ માટે બિનરાજકીય સમાજ ચિંતકો અને વિશેષજ્ઞોની એક સમિતિ બનાવવી જોઈએ. આ સમિતિ દ્વારા સંપૂર્ણ ચિત્ર સમાજ સામે મૂકવું જોઈએ. આ સમિતિને બધા જ અધિકારો આપવા જોઈએ. એના દ્વારા જે અહેવાલ રજુ થાય એ સૌએ સ્વીકારવો જોઈએ.

- આર્થિક રીતે પછાત છે એમના માટે કંઇ વિચાર થવો જોઈએ કે નહીં ?

આર્થિક રીતે પછાત છે એવા બધા જ વર્ગના લોકો માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. પરંતુ સમગ્ર સમાજમાં આત્મસન્માનનો ભાવ વધવો જોઈએ, કે જેથી આવી કોઈ વ્યવસ્થાની જરૂરિયાત જ ન રહે. જેમને લાભ મળ્યા છે એમણે પણ પોતાની ભવિષ્યની પેઢીનો વિચાર કરવો જોઈએ, પોતાના ગરીબ બંધુઓના કલ્યાણ માટે સમાજના સંપન્ન લોકોએ આવી વ્યવસ્થામાંથી બહાર આવવું જોઈએ. રાષ્ટ્ર કલ્યાણનો ભાવ સમાજમાં વધે એવો પ્રયત્ન સૌએ કરવો જોઈએ.

- ગુજરાતની પ્રવર્તમાન સ્થિતિમાં હિન્દુ સમાજ અને સામાજિક સંસ્થાઓનું વલણ શું હોવું જોઈએ ?

આવેગ અને આવેશમાં આવીને રાષ્ટ્રની એકતા અને સામાજિક સમરસતાને હાનિ પહોંચે એવું કોઈ કામ, આચાર કે ઉચ્ચાર ન થાય એની તકેદારી રાખવી જરૂરી છે. સમાજના પ્રશ્ર્નો એક જ્ઞાતિના નથી સમગ્ર સમાજના છે, એ ધ્યાનમાં રાખી એના ઉકેલ માટે બધાએ પ્રયત્નો કરવા જોઈએ. સમાજના તાણાવાણા નષ્ટ કરવાના કોઈપણ પ્રયત્નો સમાજ અને સરકારે સહન ન કરવા જોઈએ. સમાજમાં શાંતિ, સૌહાર્દ અને સમરસતા જળવાય એ જ સૌનો વિચાર રહેવો જોઈએ.

- અમુક સમાચારપત્રોએ શ્રી મા.ગો. વૈદ્યની મુલાકાતને ટાંકીને એવા અહેવાલ પ્રસિદ્ધ કર્યા કે આ આંદોલન પાછળનો સંઘનો દોરીસંચાર છે. તથ્ય શું છે ?

મા.ગો. વૈદ્ય સંઘના પદાધિકારી નથી, એ એમના પોતાના વિચારો છે. સંઘને એમના વિચારો સાથે જોડીને કોઇ મનઘડંત અહેવાલ છાપવો એ યોગ્ય નથી. અમે એ વાત સાથે સહમત નથી. મા. ગો. વૈદ્યે પણ એસ.સી. અને એસ.ટી. અનામત વ્યવસ્થા જ્યાં સુધી આવશ્યક જણાય ત્યાં સુધી ચાલુ રાખવા કહ્યું છે. સામાજિક એકતા - સમરસતા માટે, ભવિષ્યમાં ક્યારેક મૂલ્યાંકન કરવાની વાત પણ એમણે કરી હતી.’ પરંતુ સમાચારપત્રો ક્યારેક વાતને અડધી-પડધી - અર્ધસત્ય છાપી ભ્રમ પેદા કરે છે. સંઘ કોઈ જ આંદોલનનું સમર્થન કરતો નથી.

- કોઈ પણ સામાજિક કે રાષ્ટ્રીય મુદ્દા પર સંઘનો સત્તાવાર મત કોણ વ્યક્ત કરે છે?

મોટે ભાગે સરસંઘચાલક, સરકાર્યવાહના વક્તવ્યમાં એ પોતાનો મત પ્રગટ કરે છે. ઉપરાંત સંઘની અખિલ ભારતીય કાર્યકારિણી, પ્રતિનિધિસભામાં ઠરાવ અથવા સંઘના પ્રચાર પ્રમુખ દ્વારા જાહેર કરાયેલ નિવેદન સંઘના અધિકૃત વિચાર સત્તાવાર રીતે વ્યક્ત કરે છે.

- સામાજિક સમતા-સમરસતા લાવવા સંઘ દ્વારા શું પ્રયત્નો થઈ રહ્યા છે?

સંઘે એના સ્થાપના કાળથી જ સામાજિક સમરસતાનું સદંતર આચરણ કર્યું છે, એવો બધાનો અનુભવ છે. સંઘે સામાજિક વિષમતાને અમાન્ય કરી છે. સમગ્ર હિન્દુ સમાજ એક છે એવા ભાવથી કાર્ય કરે છે. સંઘની પ્રેરણાથી ૧૯૬૯માં વિશ્ર્વ હિન્દુ પરિષદના સંમેલનમાં ધર્માચાર્યોએ અસ્પૃશ્યતાને ધર્મનો કોઈ આધાર નથી એવો ઠરાવ પસાર કર્યો. ત્યાર પછી અનેક સાધુસંતોનો સમાજના બધા જ વર્ગોમાં સંપર્ક થયો. સંઘના તૃતીય સરસંઘચાલક બાળાસાહેબ દેવરસે પણ વસંત વ્યાખ્યાનમાળામાં સ્પષ્ટ પણે કહ્યું હતું કે ‘અસ્પૃશ્યતા એ એક વિકૃતિ છે, આથી એને સમાપ્ત કરવી જોઈએ.’ જો અસ્પૃશ્યતા અયોગ્ય નથી તો દુનિયામાં કશું જ અયોગ્ય નથી. આથી આપણા સૌના મનમાં સામાજિક વિષમતાને નાબૂદ કરવી એ જ આપણું ધ્યેય હોવું જોઈએ. સમાજના નબળા વર્ગનું આત્મબળ વધે એવા પ્રયત્નો થવા જોઈએ.’ તો આ જ સંઘની માન્યતા છે. સમરસતાથી જ સમાજ મજબૂત બનશે. સંઘના વર્તમાન સરસંઘચાલક મોહનજી ભાગવતે વિજયાદશમીના જાહેર ઉદ્બોધનમાં પણ કહ્યું છે કે, ભારતના દરેક ગામમાં બધા જ હિન્દુઓ માટે એક જળાશય - પીવાના પાણીની જગ્યા, એક મંદિર, એક સ્મશાનની વાત કરી છે. સરસંઘચાલકજીના આહ્વાનને સ્વીકારી સંઘના સ્વયંસેવકો બધા જ રાજ્યોમાં સક્રિય થઈ રહ્યા છે.

ઇસ્લામ અને ગાય... હદીસમાં હિદાયત : ગાયની ઇજ્જત કરો

ઇસ્લામ અને ગાય
હદીસમાં હિદાયત : ગાયની ઇજ્જત કરો
                                          - રાજ ભાસ્કર





મુસ્લિમોના ધર્મગ્રંથ કુરાને શરીફમાં ગૌરક્ષા માટે ઉપદેશ આપવામાં આવ્યો છે એવી જાહેરાત કરતાં હોર્ડિંગ્સ સરકારના ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા ગયા અઠવાડિયે કર્ણાવતી શહેરમાં લગાવવામાં આવ્યા હતા. આ હોર્ડિંગ્સ મુકાતાં જ કેટલાક મુસ્લિમ આગેવાનોએ વિરોધ કરતાં કહ્યું કે ‘કુરાનને ટાંક્યું છે તે વાત ખોટી છે!’આ ચર્ચા અને વિવાદ ઉઠતાં સમાજના નાગરિકોને પ્રશ્ર્નો થયા કે ખરેખર ઇસ્લામમાં ગાય અંગે શું કહેવામાં આવ્યું હશે ? હદીસ અને કુરાન શું છે ? અને તેમાં ગાય વિશે કોઇ ઉલ્લેખ છે કે નહીં ? નાગરિકોના મનમાં ઉપસ્થિત થયેલાં આવા અનેક પ્રશ્ર્નોનું સમાધાન કરવા માટે, ઇસ્લામ અને ગાય વિશે એક વિચારપૂર્ણ તથા સંશોધનાત્મક લેખ અહીં પ્રસ્તુત છે...


મોટાભાગના મુસલમાનો અને હિન્દુઓમાં પણ એવી ધારણા છે કે, ‘મુસલમાનોમાં ગૌવધની છૂટ આપવામાં આવી છે.’ પણ આ ધારણા ખોટી છે. પયગમ્બર સાહેબની પવિત્ર વાણી ગણાતા મુસ્લિમોનાં ધર્મગ્રંથ હદીસમાં લખ્યું છે કે, "અકર મુલ બકર ફાઈનાહા સૈયદુલ બહાઇમા - ગાયની ઇજ્જત કરો કેમ કે ગાય ચોપાયોની સરદાર છે. ગાયનું દૂધ, ઘી અને માખણ શિફા (અમૃત) છે. ગાયનું માંસ બિમારીઓનું કારણ છે. એટલે કે મુસ્લિમ ધર્મના સંસ્થાપક સ્વયં મહંમદ પયગંબર સાહેબે ગાયને "જાનવરોની સરદાર, એટલે કે તમામ પ્રાણીઓમાં શ્રેષ્ઠ પ્રાણી ગણાવી છે અને એની ઇજ્જત કરવાની આજ્ઞા આપી છે.
સ્વયં મહંમદ સાહેબે કદી ગાયની કુરબાની આપી નથી અને ન તો આજ દિન સુધી મક્કા શરીફમાં ગાયની કુરબાની અપાઈ હોવાનો દાખલો સામે આવ્યો છે. ઘણા બધા મુસ્લિમ ગ્રંથોમાં ગાયના દૂધને અમૃત અને ગાયના માંસને વિષ કહેવામાં આવ્યું છે. તેમ છતાં એ લાગે છે કે, ભારતના કેટલાક અબુધ મુસલમાનો ગાયનું માંસ ખાય છે. ખાય છે એટલું જ નહીં, આ ગૌ-વિષ પેટમાં પધરાવવા માટે મહંમદસાહેબનો વાસ્તો આપે છે અને એમની પ્રેરણાથી ખાતા હોવાનું ફરમાવે છે.
કેટલાક વિચારશીલ મુસ્લિમ પંડિતો આ વાત જાણે છે. એટલે અનેકવાર તેમણે પોતાની કોમના લોકોને ગૌમાંસ ન ખાવાની સલાહ આપી અને ગૌવધ બંધ કરવા માટે ફતવા પણ જારી કર્યા છે.

શું કહે છે પયગંબર સાહેબ?

પયગંબર સાહેબનો ‘તર્જે અમલ’ એટલે કે વ્યવહાર આ વિષયમાં પ્રમાણભૂત છે.
હજરતે ખુદ એમની બેગમ આયેશાને કહ્યું હતું કે, ‘ગાયનું દૂધ શરીરની શોભા છે અને આરોગ્ય સારું રાખવાનું સૌથી પ્રધાન સાધન છે.’
ગાય સુંદરતાનું મૂળ છે એ વાતની પુષ્ટી હજરતના ચાચા અને તેમના સાથી જાબીરે પણ કરી છે.
હજરતના દામાદ અલી અને મુસ્લિમ ધર્મના એ વખતના એક પ્રધાન મૌલાનાને ગાય માટે એટલું બધું માન હતું કે તેમણે પોતાના જીવનમાં કદી ગાયના માંસનો સ્પર્શ સુધ્ધાં નહોતો કર્યો.
હા, કેટલાક ખણખોદિયાઓ ગમે ત્યાંથી ગોતીને, મારીમચડીને કદાચ એવું સાબિત પણ કરી દે કે ફલાણી જગાએ પયગંબરે ગાયનું ગોસ્ત ખાધું હતું, પણ એ વાત સાચી નથી.
કેટલાક લોકો એવી પણ દલીલ કરે છે કે, શરિયતમાં અનેક ચીજો ખાવા માટે કાબેલ ગણાવાઈ છે. એટલે શું બધું જ ખાઈ જવાનું? એમ તો ઘણી જગાએ વિકૃત માનવીઓ બીજા માનવીઓનું માંસ પણ ખાય છે. તો શું તમે પણ?
પ્રશ્ર્ન કડવો છે. પણ દિમાગથી વિચારવા જેવું છે. પયગંબર સાહેબે શા માટે ગોવધની અને ગાયનું માંસ ખાવાની મનાઈ ફરમાવી છે? કારણ કે હર હલાલ ચીજને હલાલ સમજીને ખાઈ લેવી એ બુદ્ધિનું પ્રદર્શન છે. જે જાનવરો સાથે જરૂરતો જોડાયેલી છે એ કોઈ ખાવાને લાયક નથી. મુસલમાનો ઘોડાનું માંસ નથી ખાતા. શા માટે? ગધેડાનું માંસ નથી ખાતા. શા માટે? કારણ કે એ એમના માટે ખૂબ જ ઉપયોગી છે. પણ એમણે વિચાર કરવો જોઈએ કે એક સમયે મુસ્લિમ કોમ પણ ગાય પર જ જીવનનિર્વાહ કરતી હતી. અને આમ પણ ગાય સમગ્ર માનવજાતિ માટે જીવનદાયિની છે. એનું દૂધ અમૃત છે. એમાંથી બનતી બધી જ ચીજોથી માનવી સુખેથી જીવી શકે છે.

આ બાબતે મુસ્લિમ દેશોનો રવૈયો પણ જાણવા જેવો છે

જ્યાં તમામેતમામ લોકો મુસલમાન હોય એવા દેશોમાં ગાય પ્રત્યે કેવો વ્યવહાર થયો છે ? એની પણ થોડી જાણકારી મેળવવી આવશ્યક છે.
ઈ.સ. ૧૯૧૦માં મિસર - ઇજિપ્તની સરકારે એક ફતવો જાહેર કર્યો હતો કે, ‘કોઈ પણ માણસ બકરી ઈદના દિવસે ભેડ સિવાય કોઈ પ્રાણીનો બલી ના ચડાવે.’ એટલું જ નહીં મિસર સરકારે એકવાર ગાય અને ભેંસના વધ પર બે વર્ષ માટે સંપૂર્ણ પાબંદી પણ લગાવી દીધી હતી. (‘પ્રતાપ’ - માર્ચ ૧૯૧૮)
મધ્ય પૂર્વ એશિયામાં ગોહત્યા ભાગ્યે જ થતી હતી. એક અફઘાન લેખક લખે છે કે, ‘અમે નવ વર્ષ અરબ દેશમાં રહ્યા અને ચાર વર્ષ દમિશ્કમાં; ત્યાં શાહના કયાલ બજારમાં ગાયના માંસની ફક્ત એક જ દુકાન હતી. હું જેટલાં વર્ષ રહ્યો એટલા વર્ષમાં મેં એક પણ મુસલમાનને ત્યાંથી ગાયનું માંસ ખરીદતાં જોયો નથી. ત્યાંથી ફક્ત અંગ્રેજો અને યહૂદીઓ જ માંસ ખરીદતા હતા.
ઈ.સ. ૧૯૧૧માં અમીર હિન્દુસ્થાન આવ્યા હતા. દિલ્હીના મુસલમાનો એમને ખુશ કરવા માટે ગાયનું માંસ બનાવવા માટે તૈયારી કરવા લાગ્યા. ક્યાંકથી ગાય મારી લાવવા માટે સંપર્ક કરવા માંડ્યા. પણ અમીરને જાણ થતાં જ એ ઊકળી ઊઠ્યા અને બોલ્યા, ‘જો ગોવધ કરશો તો હું પાછો ચાલ્યો જઈશ.’
ત્યાંના ભૂતપૂર્વ અમીર અમાનુલ્લાખાં એકવાર આવ્યા હતા. ત્યાં એમણે કહ્યું હતું કે, ‘મુસલમાન ભાઈઓ મુલ્લાઓ અને પીરોની વાતોમાં ન આવે અને હિન્દુઓ સાથે શાંતિ જાળવી રાખે. હિન્દુસ્થાનીઓ માટે ગાય અને બળદ બહુ જ ઉપકારી જીવ છે. મુસલમાનોએ પણ એમના વંશની વૃદ્ધિ માટે પ્રયત્ન કરવા જોઈએ.’

મુસ્લિમ બાદશાહો - શાસકો અને ગાય

એવું નથી કે બધા જ મુસલમાનો ગાય ખાય છે. અનેક મુસ્લિમ બાદશાહોએ પોતાના શાસનમાં ગૌવધ પર પાબંદી લગાવી હતી.
પ્રસિદ્ધ બાદશાહ બાબરે પોતાના રાજ્યમાં ગૌહત્યા બંધ કરાવી દીધી હતી, જેનો પુરાવો આજે પણ મોજૂદ છે. ભોપાલના કુતુબનામા ખાસમાં મોજૂદ વસિયતનામામાં આ બાબતનો ઉલ્લેખ જોવા મળે છે. (અખબાર તોહફ-એ-હિંદ ૯ જુલાઈ, ૧૯૨૩).
જે બાબરને આજે મુસ્લિમો પોતાનો પ્રેરણાસ્રોત પણ માને છે એ જ બાબરે એના મૃત્યુ સમયે એના પુત્ર હુમાયુને ઉદ્દેશીને એક પત્ર લખ્યો હતો. એ પત્ર એના જ હસ્તાક્ષરમાં ભોપાલના નવાબ સાહેબના પુસ્તકાલયમાં હતો. કોંગ્રેસના એક નેતા ડૉ. સૈયદ મહેમુદે એનો ફોટો લઈને ‘મોડર્ન રિવ્યૂ’માં એક વિસ્તૃત લેખ લખ્યો હતો, જેનો અનુવાદ આ મુજબ છે,
બાબરે એના પુત્રને લખ્યું હતું કે, ‘હે મારા પુત્ર! ભારતવર્ષમાં ભિન્ન-ભિન્ન સંપ્રદાયના લોકો રહે છે. પરમાત્માને ધન્યવાદ છે કે એણે તારા હાથોમાં આ દેશનું શાસનસૂત્ર સોંપ્યું. તારે તારા મનમાંથી ધાર્મિક પક્ષપાતને અલગ કરી દેવો જોઈએ. પ્રત્યેક ધર્મના નિયમો અનુસાર એ લોકો સાથે ન્યાય કરવો જોઈએ, વિશેષ કરીને ગૌ-હત્યાથી દૂર રહેવું જોઈએ, કારણ કે આમ કરવાથી જ તું ભારતવાસીઓના હૃદય પર વિજય પ્રાપ્ત કરી શકીશ.’
યાદ રહે કે હુમાયુએ એના પિતાની આજ્ઞાનું પાલન કર્યંુ હતું. પણ આજના મુસલમાનો શું કરે છે એ એમણે જ વિચારવું રહ્યું.
એટલું જ નહીં અકબર વિશેના પ્રખ્યાત અને અધિકૃત પુસ્તક ‘આઈને અકબરી’ના પહેલા ભાગના પાના નંબર ૧૧૨ થી ૧૧૪માં લખ્યું છે કે, ‘એ સમયે ગુજરાતમાં ગાયની જોડીના દામ ૯૦૦ રૂપિયા સુધીના હતા. ગોપાલકોને ખૂબ બધી ગાયો આપવામાં આવતી હતી, કારણ કે એમનું રક્ષણ થઈ શકે. ખુદ અકબર બાદશાહે પણ એક ગૌશાળા બનાવી હતી. એની વ્યવસ્થા ખૂબ સારી હતી. અકબર પાસે જે ગાયની જોડી હતી એનું મૂલ્ય એ વખતે પાંચ હજાર મોહરનું હતું.
વાલી હૂકુમત અફઘાનિસ્તાન ઉલમાં અહલ સુન્નતના એક ફતવા મુજબ ગાયની કુરબાની બંધ કરાઈ હતી, (૧૧૦, ૧૧-૧૨, ૧૯૨૩)
અકબર, જહાંગીર, શાહજહાં, મોહમ્મદ શાહ, ઉપરાંત નવાબ સાહેબ રાધનપુર, નવાબ સાહેબ માંગરોલ, કરનાલ જિલ્લાના દરજાનાના નવાબ સાહેબ બહાદુર, નવાબ સાહેબ ગુડગાંવ, નવાબ સાહેબ મુર્શિદાબાદ અને નિજામ સહિત અનેક મુસ્લિમ બાદશાહોએ એમના સમયમાં ગાયની હત્યા બંધ કરવા માટે ફતવા જારી કર્યા હતા. આનો ઉલ્લેખ ૨ નવેમ્બર, ૧૯૨૪ના હિન્દુસ્થાન અખબારમાં જોવા મળે છે.

ગૌહત્યા રોકવા માટે મુસલમાનોના ફતવાઓ

મુસ્લિમ શાસનના અંત પછી પણ ઇસ્લામ ધર્મના નેતાઓએ જે ફતવા જાહેર કર્યા હતા એ પણ સંપૂર્ણ રીતે ગૌ-હત્યા નિષેધ માટેના હતા. થોડાક પર નજર કરીએ...
- ગાયની કુરબાની આપવી એ ઇસ્લામ ધર્મનો નિયમ નથી. (ફતવે હૂમાયુની - ભાગ ૧, પૃષ્ઠ ૩૬૦)
- કુરાન કે અરબની કોઈ પ્રથા ગાયની કુરબાનીનું સમર્થન નથી કરતી. (હકીમ અજમલ ખાં)
- મુસલમાનો ગાય ન મારે, કારણ કે એ હદીસ વિરુદ્ધ છે! (મૌલાના હયાત સાહબ, ખાનખાના હાલી, સમદ સાહબ)
- કોઈ મુસલમાન ગાયની કુરબાની ન આપે તો એ કોઈ ગુનો નથી બનતો. કોઈ મુસલમાન ગાય ન કાપે અને ગૌમાંસ ન ખાય તો એના મજહબમાં કોઈ ફર્ક પડતો નથી. કોઈની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો સબક ઇસ્લામ નથી આપતો. (મૌલાના અબ્દુલ હસન, મહમ્મદ અબ્દુલ અહમદ, કાજી મોહમ્મદ હુસૈન વગેરે)
- લખનૌના ફિરંગી મહાલના મૌલાના અબ્દુલ બારીએ ગૌવધ વિરુદ્ધ એક જબરદસ્ત ફતવો બહાર પાડ્યો હતો. એની અસર એવી થઈ કે એ વખતે દિલ્હીમાં બકરી ઈદના દિવસે ૫૦૦ ગાયો કપાતી હતી. પણ એ વરસે માત્ર એક જ ગાય મારવામાં આવી હતી. એ સમયે મહાત્મા ગાંધીએ એ મૌલાનાને તાર કરીને એમનો આભાર માન્યો હતો.
- મૌલાના શમશુદ્દીન કમરુદ્દીનની ગૌ-ભક્તિ પ્રખ્યાત છે. તેઓ કહેતા હતા કે, ‘હિન્દુસ્થાનમાં ગૌ જાતિ અરબના ઊંટોથી ક્યાંય વધારે પ્રિય છે. ગૌવધથી દૂધનો અભાવ થશે. મુસલમાનો ગાયનો વધ ન કરે.’

તો પછી મુસ્લિમો ગૌહત્યા કરવા કેમ માંડ્યા ?

ઈ.સ. ૧૭૦૦ની સાલમાં અંગ્રેજો હિન્દુસ્તાનમાં વેપારી બનીને આવ્યા એ વખતે ગાય અને સૂવર બંનેનો વધ થતો ન હતો કારણ કે ગાય હિન્દુઓને માટે પૂજનીય હતી અને મુસલમાનો માટે સૂવર હરામ હતું. હિન્દુ અને મુસલમાન બંને એકબીજાની ભાવનાનો આદર કરતા હતા. પણ ગાય અને સૂવર બંનેનું માંસ અંગ્રેજોને પ્રિય હતું. અંગ્રેજોને લાગતું હતું કે જો હિન્દુ-મુસલમાન વચ્ચે ભાઈચારો રહેશે તો રાજ નહીં કરી શકાય. આથી એમણે ભાગલા પાડવા મુસલમાનોને ભડકાવ્યા કે કુરાને શરીફમાં લખ્યું છે કે ઘાસ ખાવાવાળા અને દૂધ દેનારા ચાર પગવાળા જનાવર હલાલ છે. તેની કુરબાની જાયઝ (વ્યાજબી) છે, એથી ગાય હલાલ છે. તેની કુરબાની કરો. છતાં પણ મુસલમાનો માન્યા નહીં. ત્યારે તેમને લાલચ આપવામાં આવી અને ગાયને કપાવી. આમ, ધીમે ધીમે અંગ્રેજોએ મુસલમાનોને ચડાવીને ગાયોની હત્યા કરતાં કરી દીધાં.

બહાદુરશાહ ઝફરનું એલાન

૧૮૫૭ની પહેલી આઝાદીની લડાઈનું મુખ્ય કારણ હતું સૂવર અને ગાયની ચરબી લગાડેલા કારતૂસો બહાદુરશાહ ઝફર જે આ લડાઈનું નેતૃત્વ કરી રહ્યા હતા એમણે તેમના પહેલા એલાનમાં કહ્યું હતું કે, "જે કોઈ પણ ગોહત્યા કરશે કે કરાવવા માટે દોષી જણાશે તેને મોતની સજા કરવામાં આવશે. તે પછી ૧૮૯૨ની શરૂઆતમાં પંજાબના અલગ અલગ વિસ્તારોમાંથી ગોહત્યાની વિરુદ્ધમાં અરજીઓ સરકારને મોકલવામાં આવી. આ અભિયાનમાં આર્ય-સમાજની મહત્ત્વની ભૂમિકા રહી. મેરઠ, ગુડગાંવ, ફિરોઝપુર, મુલ્તાન, લાહોર, શિયાળકોટ, રાવલપિંડી, દિલ્હી, ગુજરાવાળા, હિસ્સાર, સિરસા અને રોહતક વગેરેમાંથી આ અરજીઓ કરવામાં આવી. તેમાં લાખો લોકો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એવી પણ સાબિતી મળે છે કે આ અરજી કરનારાં ઘણાં સ્થાનોમાં હિન્દુઓની સાથોસાથ મુસલમાનોએ પણ હસ્તાક્ષર કર્યા હતા.
ગો-વધની વિરુદ્ધમાં જ્યારે હિન્દુઓનાં આંદોલન વધ્યાં ત્યારે ડિસેમ્બર ૧૮૯૩માં મહારાણી વિક્ટોરિયાએ વાઇસરૉય લેન્સ ડાઉનને એક પત્ર લખ્યો; જે આ પ્રમાણે હતો :
‘જો કે મુસલમાનોની વિરુદ્ધમાં કરવામાં આવતાં ગોવધ વિરોધ આંદોલનોનું ખરું કારણ એ આંદોલન આપણી વિરુદ્ધ છે. મુસલમાનો કરતાં ઘણી વધારે ગોહત્યા આપણે કરાવીએ છીએ કારણ કે તે દ્વારા આપણે આપણા સૈનિકો અને અધિકારીઓ માટે ગો-માંસ મેળવીએ છીએ.’
૧૮૮૦થી ૧૮૯૩ના સમય દરમિયાન પંજાબ, ઉત્તરપ્રદેશના અને મુસલમાનો અંગેના અંગ્રેજોની જાસૂસી વિભાગના દસ્તાવેજોનો બારીકાઈથી અભ્યાસ કરતાં જાણવા મળે છે કે મુસલમાનો કોમી-ઈત્તેહાદ (એખલાસ) માટે ગોહત્યા છોડવા માગતા હતા પણ અંગ્રેજોના દબાણથી તેઓ એવું કરી શક્યા નહીં. એથી એમ કહી શકાય કે ૧૮૮૦માં ગોહત્યા માટે મુસલમાનોનું જે જોર વધ્યું તે અંગ્રેજો દ્વારા પ્રોત્સાહનનું પરિણામ હતું.
* * *

ઇસ્લામમાં ગાયના માંસ અને એની હત્યાનો નિષેધ છે એવી અનેક નોંધો મળે છે. હદીસથી માંડીને અનેક પુસ્તકો, ગ્રંથો અને મૌલવીઓના બયાનોથી એ વાત ફલિત થાય છે. અહીં માત્ર એના અંશો જ રજૂ કર્યા છે. આ તથ્યો પરથી એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે ઇસ્લામમાં ગાયનો વધ એ ગુનો છે. એની મનાઈ ફરમાવવામાં આવી છે. અને અનેક મુસલમાન મહાનુભાવોએ પણ એનું પાલન કર્યંુ છે. કોઈક બદનસીબ ક્ષણે અંગ્રેજોએ હિન્દુ - મુસલમાનોમાં ભાગલા પાડવા આ બંને કોમ વચ્ચે ગાયની ગરદન મૂકી દીધી. અને ભાવુક પ્રજા આજ સુધી લડી રહી છે. કેટલાક કટ્ટર મુસલમાનોને ગાય ખાઈને હિન્દુઓની લાગણી દુભવવાની મજા આવે છે! તો કેટલાક ગાયની ગરદન પર છૂરી ચલાવીને પોતાનો ધર્મ નિભાવ્યાનો પિશાચી આનંદ મેળવે છે. હિન્દુ વિરોધી માનસ ત્યજીને સ્વસ્થપણે વિચારશો તો ગાય જ નહીં કોઈ પણ જીવની કુરબાની ન થવી જોઈએ.
કુરાનમાં ગૌવધની મનાઈ હતી કે નહીં? પયગંબર સાહેબ ગાયનું માંસ ખાતા હતા કે નહીં? મુસ્લિમ બાદશાહે ગૌ-વધ વિરુદ્ધ ફતવા જાહેર કર્યા હતા કે નહીં? આ બધી બાબતો અને વિવાદો અહીં અસ્થાને છે. શહેરની સડક પર જીવહત્યા રોકવા માટે કોઈએ એક હોર્ડિંગ લગાવી દીધું
અને લખી દીધું કે, ‘કુરાનમાં ગૌરક્ષાનો ઉપદેશ છે.’ તો એમાં કયો મોટો પહાડ તૂટી પડ્યો છે?
એમાં તો મુસલમાનો એમના પર તૂટી પડ્યા. પોતાને બુદ્ધિશાળી ગણાવતા મુસલમાનોનું ટોળું કુરાનનાં પાનાં લઈને બતાવવા લાગ્યું, ‘જુઓ જુઓ, આમાં ક્યાંય મનાઈ નથી ફરમાવી. આ તો હદીસનું વાક્ય છે!’
અરે, ભલા માણસ! હદીસ હોય કે કુરાન! વાત તો એક જ છે. શો ફેર પડે છે? અને હોર્ડિંગમાં જે વાત કરી છે એ સારી કરી છે કે ખરાબ? એમાં આખરે તો જીવહત્યા રોકવાની જ વાત છે ને? મુસલમાન બંધુઓએ એ વાત વધાવી લેવાની હોય કે એનો વિરોધ કરવાનો હોય? - એ મુસલમાન બંધુઓ જ નક્કી કરે.
મીડિયામાં પણ આના વિશે ડિબેટ શરૂ થઈ ગઈ. હિન્દુ અને મુસલમાન અગ્રણીઓને ભેગા કરીને ચર્ચાઓ ચલાવવામાં આવી, પણ વ્યર્થ અને ટાઇમનો બગાડ કરનારી. બંને પક્ષે મૂળ મુદ્દે ચર્ચા જ ના થઈ કે અને આખરે જીવહત્યા રોકવા માટે કોઈએ પણ એકે સ્તુત્ય પગલું ભર્યંુ ન હતું.
ખેર, જે થયું તે થઈ ગયું. પણ એક વાત નક્કી છે કે કોઈ ધર્મ કોઈ જીવની હત્યા કરવાની પરવાનગી આપતો નથી. ઇસ્લામમાં પણ ગાયનો વધ એ પાપ છે. આપણાં મુસ્લિમ બંધુઓ આ પાપ ન કરે એ જ એક વિનંતી.
* * *
સંદર્ભ :
(૧)
પુસ્તક : હઝરત મોહમ્મદસલ૦ નો ગાય ઉપરનો દૃષ્ટિકોણ
લેખક : મોહમ્મદ અફઝાલ
પ્રકાશક : માય હિન્દુસ્થાન દિલ્હી
સંયોજક : યાસીન અજમેરવાલા
(૨)
પુસ્તક : કલ્યાણ અંક
પ્રકાશન : ગીતા પ્રેસ ગોરખપુર

ગાય ઉપર હઝરત મોહમ્મદ સલ૦ નો દૃષ્ટિકોણ

હઝરત મોહમ્મદસલ૦ જ્યારે આ દુનિયામાંથી સિધાવી ગયા તે પછી તેમના જીવન, તેમની દિનચર્યા અને તેમના ઉપદેશોને લઈને અનેક પુસ્તકો લખવામાં આવ્યાં, જેને આપણે સહેલા શબ્દોમાં ‘હદીસ’ કહીએ છીએ. આજે પણ મોટા મોટા મદરેસાઓમાં તેનું શિક્ષણ આપવામાં આવે છે અને જે આ પુસ્તકોનું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે તે મૌલવી કે આલિમ કહેવાય છે. હઝરત મોહમ્મદસલ૦ ને ક્યારેય પણ પોતાના જીવનમાં એવું જાણવા મળ્યું ન હતું કે હિન્દુસ્તાનમાં ગાયની પૂજા થાય છે અને તેને માતા માનવામાં આવે છે છતાં એમની ગાય માટેની અનેક હદીસો મળી આવે છે તેમાંથી અમુક નીચે લખી છે :
(૧) ઉમ્મુલ મોમીનીન (હઝરત મોહમ્મદસલ૦ ની પત્ની) ફરમાવે છે કે નબી-એ-કરીમ હઝરત મોહમ્મદસલ૦ ફરમાવે છે કે ગાયનું દૂધ, ઘી, શિફાબક્ષ (લાભદાયક) છે અને ગોસ્ત (માંસ) બીમારકુન (બીમારી વધારનારું) છે.
(મુસ્લિમ શરીફ અને હયાતુલ હૈવાન પુસ્તક પાના નં. ૩૯૭)
(૨) નબી-એ-કરીમ હઝરત મોહમ્મદસલ૦ ફરમાવે છે કે તમે ગાયનું દૂધ અને ઘી ખાધા કરો. અને ગોસ્ત (માંસ)થી બચ્યા કરો. તે એટલા માટે કે ગાયનું દૂધ અને ઘી એ ઇલાજ (દવારૂપ) છે જ્યારે ગોસ્ત (માંસ) એ બીમારી છે.
(ઈમામ તિરબરાની વ હયાતુલ હૈવાન પુસ્તક પાના નં. - ૩૯૮)
(૩) નબી-એ-કરીમ હઝરત મોહમ્મદસલ૦ ફરમાવે છે કે અલ્લાહે દુનિયામાં જે કાંઈ બીમારી ઉતારી છે તેમાંથી દરેકનો ઇલાજ પણ નાજિલ (રજૂ) કરવામાં આવેલ છે. જે તેનાથી નાવાકિફ છે (અજાણ્યો છે) તે નાવિકફ જ રહેશે. અને જે વાકિફ (જાણકાર) છે તે જાણતો જ રહેશે. ગાયના ઘી થી વધારે કોઈ ચીજ શિફા (સ્વાસ્થ્યવર્ધક) નથી.
(અબ્દુલ્લાબિ મસૂદ હયાતુલ હૈવાન - પાના નં. ૩૯૮)
ઉપર લખેલી હદીસોથી માલૂમ પડે છે કે ગાયના માંસમાં રોગ છે અને જે કોઈ મુસલમાન ગાયની હત્યા કરે છે તેના ભાગે તો માત્ર રોગયુક્ત માંસ જ આવે છે. ગાયના ચામડી, વાળ, પૂંછડી, શીંગડાં, હાડકાંઓ તથા લોહી ગાયની હત્યા પછી જે પ્રાપ્ત થાય છે તેનો વેપાર માત્ર મુસલમાન જ નથી કરતા પણ બીજા ભારતીય નાગરિકો પણ કરે છે તેથી મઝહબવાળાને મળે છે માત્ર માંસ જે પણ રોગયુક્ત છે.


ઇસ્લામ અને ગૌ વિશે વિવાદ થતાં દરિયાપુરના ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખ તથા મુસ્લિમ સમાજનાં અન્ય આગેવાનો અને અધિકારીઓએ મુસ્લિમ સમાજને ગૌ માંસ ન ખાવા અને ગાયની કુર્બાનીથી પરહેઝ કરવા જાહેર અપીલ કરી હતી અને એ અંગેનું એક આવેદનપત્ર અમદાવાદના પોલીસ કમિશ્ર્નરશ્રી શિવાનંદ ઝાને આપ્યું હતું.


કુર્આન શરીફની આયતનું નામ સુરાએ - બકરા છે
સુરા એટલે આયત અને બકરા એટલે ગાય : યાસીન અજમેરવાલા (હજ કમિટી સદસ્ય - ગુજરાત)

- શું ખરેખર કુરાનમાં ગાય વિશે કંઈ કહેવાયું છે?
કુર્આન પાક સમગ્ર માનવજાત માટે ખુદાએ આકાશમાંથી પોતાના નબી મોહંમદ પયગંબર (સ.અ.વ) ઉપર પોતાના ખાસ દૂત (ફરિશ્તા) મારફતે ઉતારેલો પવિત્ર ગ્રંથ છે. કુર્આનમાં સૌથી પહેલી આયત (સુરા) છે. જેમ સંસ્કૃતમાં શ્ર્લોક હોય તેમ પહેલી આયત (સુરા) છે. જેનો અર્થ અભ્યાસ (શિક્ષણ) માટેનો ખુદાનો આદેશ હતો. કુર્આને શરીફની શરૂઆતની આયતનું નામ સુરાએ - બકરા છે જે સત્ય છે. સુરા એટલે આયત અને બકરા એટલે ગાય થાય છે.
કુર્આન શરીફમાં ગાય માટે ઉલ્લેખ નથી પણ આ પવિત્ર ગ્રંથ સમગ્ર માનવજાત માટે હોવાથી ઘણી વસ્તુઓનું આપણને જ્ઞાન આપે છે. દા.ત. કુર્આન શરીફમાં લખેલુ છે કે, ‘હમને ઇન્સાનોંકી ગીઝા (જમણ) કે લીયે ચૌહ પાયે જાનવર કો દુનિયામેં પૈદા કિયે હૈં. હું કબૂલ કરું છું’ કેમકે હું એક મુસ્લિમ છું, પરંતુ માંસ, મટન ખાવું તે ફરજિયાત નથી. હું મુસ્લિમ થઈને માંસ, મટન નહીં ખાઉં તો હું મઝહબે ઇસ્લામમાંથી નીકળી જતો નથી.

મુસ્લિમ બંધુઓને વિનંતી કે ગૌરક્ષા બાબતને ધાર્મિક રીતે ન જુએ : અરુણ ઓઝા

(હાઈકોર્ટના એડવોકેટ તથા ‘હિંસા વિરોધ’ સામયિકના તંત્રી)
કુરાને શરીફમાં સુરે - બકરામાં હજનું વર્ણન કરતાં લખ્યું છે કે, પશુઓની કતલ કરવી અને ખેતરોનો નાશ કરવો તે પૃથ્વી ઉપર વિનાશ લાવવા સમાન છે. અલ્લાહ આવા વિનાશને પસંદ કરતા નથી.
મહંમદ પયગંબરના ગ્રંથ હદીસમાં હુકમ કરતાં જણાવ્યું છે કે, તમારાં પશુઓ પર દયા કરો, કારણ કે અલ્લાહે પોતાની કરુણા તમારા પર વરસાવી છે.
પશુહત્યા થાય તો માનવજાતનું નિકંદન નીકળી જાય. મુસ્લિમ બંધુઓને નમ્ર વિનંતી કે ગૌરક્ષાના પાસાને કોઈ ધાર્મિક રીતે જોવાને બદલે માનવજાતને ટકાવવા પશુરક્ષા અનિવાર્ય છે એ સંદર્ભમાં વિચારે અને વિવેકબુદ્ધિ વાપરે.



મહંમદ પયગંબર સાહેબે ખુદ ગાયની પવિત્રતાની વાત કરી છે : વલ્લભ કથીરિયા (અધ્યક્ષ, ગૌસેવા - ગોચર વિકાસ બોર્ડ - ગુજરાત)

- કુરાનનો ઉપદેશ ટાંકીને આવું હોર્ડિંગ્સ મૂકવા પાછળનો આપનો હેતુ શો હતો?
અમારો આશય પવિત્ર હતો. બધા જ ધર્મોમાં ગાયનું મહત્ત્વ છે અને ગાયને પવિત્ર માનવામાં આવે છે. એ દર્શાવવા અમે એ હોર્ડિંગ્સ લગાવ્યું હતું. આ જ નહીં આ પ્રકારના જુદા જુદા વિષયોના
૧૬ જેટલાં હોર્ડિંગ્સ અમે શહેરભરમાં અને ગુજરાતમાં ઠેરઠેર લગાવ્યાં હતાં, જેમાં બૌદ્ધ ધર્મમાં ગાય વિશેની વાત, મહાવીર ભગવાને ગાય વિશે કરેલી વાત અને અન્ય ઉપયોગી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો.
- પણ મુસલમાનોનું કહેવું છે કે કુરાનમાં ક્યાંય ગાય વિશે ઉપદેશ આપવામાં આવ્યો નથી.
હોર્ડિંગ્સમાં લખેલો ઉપદેશ હદીસનો છે. ભૂલથી કુરાન લખાયું હતું, પણ અહીં મહત્ત્વની વાત એ છે કે હદીસ એ મહંમદ પયગંબર સાહેબની પવિત્ર વાણી છે. મુસલમાનો એમની વાણીને પવિત્ર માની સર આંખો પર ચઢાવે છે. એમની આજ્ઞાનું પાલન કરે છે. અહીં મહંમદ સાહેબે ખુદ ગાયની પવિત્રતાની વાત કરી છે, તેથી મુસ્લિમોએ જે ઊહાપોહ મચાવ્યો તે મચાવવાની જરૂર જ નહોતી.
- આ નાનકડા વિવાદથી બે કોમ વચ્ચે કોઈ મુશ્કેલી ઊભી થઈ છે ?
ના, બિલકુલ નહીં. ઊલટાનું હિન્દુ અને મુસલમાનોમાં સમરસતા વધે તેવું કાર્ય થયું છે. મુસ્લિમો પણ જાણે કે એમના પયગંબર સાહેબે ખુદ ગાયને માન આપ્યું છે અને હિન્દુઓનું માન પણ મહંમદ પયગંબર માટે વધ્યું છે. એમને જાણીને આનંદ થયો કે મુસ્લિમોના શ્રેષ્ઠ ધર્મગુરુ ગાય વિશે આટલા સુંદર વિચારો ધરાવતા હતા.
હું હજુ પણ હિન્દુ - મુસ્લિમ સહિત દરેક ધર્મના લોકોને કહેવા માંગું છું કે, ગાય સમગ્ર માનવજાતિ માટે પવિત્રતમ છે. માટે એને માન આપો, એનો વધ અટકાવો.

Tuesday, June 2, 2015

પ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગનો સમારોપ

રા.સ્વ.સંઘ ગુજરાત પ્રાંત
પ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગનો સમારોપ

૩૦ મેના રોજ હળવદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - ગુજરાત પ્રાંતના પ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગનો જાહેર સમારોપ કાર્યક્રમ યોજાયો હતો. ૨૦ દિવસ ચાલેલા સંઘ શિક્ષાવર્ગના આ સમાપન સમારોપમાં અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી ડૉ. કે. એમ. આચાર્ય, મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રાંતના સહપ્રચારક શ્રી મહેશભાઈ જીવાણી, વર્ગાધિકારી - શ્રી પ્રફુલ્લગિરિ ગૌતમગિરિ ગૌસ્વામી, વર્ગકાર્યવાહ શ્રી તુષારભાઈ મિસ્ત્રી તથા પ્રાંત સંઘચાલક શ્રી મુકેશભાઈ મલકાન હાજર રહ્યા હતા. આ વર્ગમાં શિક્ષાર્થીઓને શારીરિક, સેવા, શ્રમાનુભવ, બૌદ્ધિક જેવા વિષયો પર પ્રશિક્ષણ અપાયું હતું. વર્ગમાં અ.ભા. સેવાપ્રમુખ સુહાસરાવ હિરમેઠજી તથા ગૌસેવા પ્રમુખ શંકરલાલજીનું માર્ગદર્શન પણ શિક્ષાર્થીઓને મળ્યું હતું. આ ઉપરાંત ગુજરાતભરમાંથી પ્રશિક્ષણ અર્થે આવેલા સંઘ શિક્ષાર્થીઓ, શિક્ષકો, પ્રબંધકો, સંઘના અધિકારીઓ, રાજકીય આગેવાનો સહિત ખૂબ મોટી સંખ્યામાં સંઘપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતા.



0 હળવદ ખાતે પહેલી વાર યોજાયો રા.સ્વ.સંઘનો પ્રથમ વર્ષ સંઘ શિક્ષાવર્ગ.
0 ગુજરાતના વિવિધ ૨૯૬ સ્થાન પરથી ૪૮૪ શિક્ષાર્થીઓ આ વર્ગમાં જોડાયા.
0 ૩૨૦ વિદ્યાર્થીઓ અને ૧૬૪ વ્યવસાયી શિક્ષાર્થીઓ આ વર્ગમાં હતા.
0 શિક્ષાર્થીઓને પ્રશિક્ષણ આપવા ૬૦ જેટલા શિક્ષકો.
0 ૬૦ જેટલા પૂર્ણસમયના પ્રબંધકો.
0 વર્ષ ૨૦૧૩માં પીરાણા ખાતે યોજાયેલ પ્રથમ વર્ષ સંઘ શિક્ષાવર્ગમાં ૩૪૨ શિક્ષાર્થીઓ તથા ૨૦૧૪માં ભુજ ખાતે યોજાયેલ વર્ગમાં ૪૩૩ શિક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. ૨૦૧૫માં આ સંખ્યા વધીને ૪૮૪ સુધી પહોંચી છે.

- ગુજરાતમાં સિંહોની સંખ્યા ૫૦૦ કરતા વધી ગઈ છે. આ સંઘ શિક્ષા વર્ગમાં નવા ૫૦૦ સિંહો તૈયાર થઈને સમાજ વચ્ચે જવાના છે. અહીં શ્રેષ્ઠ સ્વયંસેવકોનું નિર્માણ થયુ છે જે સમાજ ઉપયોગી બની રહેશે.
                                                                 - મા. મુકેશભાઈ મલકાન (પ્રાંત સંઘચાલક, ગુજરાત પ્રાંત)
- સગવડતા - અગવડતા વચ્ચે ખુશ રહી શકાય છે તેનો અહેસાસ શિક્ષાર્થીઓને આ સંઘ શિક્ષાવર્ગમાં થાય છે. તેમનામાં અનુશાસનના ગુણ આવે છે. સંઘકાર્ય, સમાજકાર્ય કરવાની તેમનામાં ક્ષમતા વધે છે.
                                                               - તુષારભાઈ મિસ્ત્રી (વર્ગકાર્યવાહ, પ્રથમ વર્ષ સંઘ શિક્ષાવર્ગ)
વર્ગમાં તાલીમાર્થીઓને જીવન જીવવાની કેળવણી મળે છે. આ ૨૦ દિવસ તેઓ મોબાઈલથી દૂર રહે છે. અહીં તેમને સંઘના ઋષિતુલ્ય જીવન જીવતા પ્રચારકો સાથે રહેવાનો તેમના આદર્શ જીવન પરથી પ્રેરણા લેવાનો અવસર મળે છે. અહીં મળેલું માર્ગદર્શન તેમના માટે જીવન ઉપયોગી બની રહેશે.
                                                                                           - મા. પ્રફુલ્લગિરિ ગૌસ્વામી (વર્ગાધિકારી)

રાષ્ટ્ર ઉપાસનાનો માર્ગ આપણને
ડૉક્ટર સાહેબે બતાવ્યો છે :ડૉ. કે. એમ. આચાર્ય

સમારોપમાં પ્રારંભમાં પોતાના વિચારો પ્રગટ કરતાં પદ્મશ્રી ડૉ. કે. એમ. આચાર્યએ કહ્યું કે, ડૉ. હેડગેવારજીએ વિપરીત પરિસ્થિતિમાં ૧૯૨૫માં સંઘની સ્થાપના કરી હતી જે આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે. રાષ્ટ્ર ઉપાસનાનો માર્ગ ડૉક્ટર સાહેબે આપણને બતાવ્યો છે. ઉપાસક, ઉપાસના અને ઉપાસ્ય એ સાધનો છે. ઉપાસક એટલે આપણે સૌ, ઉપાસના એટલે સેવા, માનવ સેવા, જે સમર્પણ, અર્પણ અને તર્પણની ભાવનાથી આપણે કરવાની છે અને ઉપાસ્ય એટલે રાષ્ટ્ર. આ ભૂમિનો ટૂકડો નથી, ચેતનાથી ભરેલો પ્રદેશ છે. અહીંી પરંપરા, ઇતિહાસ, માનવીય ચેતનાથી અજોડ બીજું કશું નથી. અહીંની તેજસ્વી પરંપરા છે, જેનું રક્ષણ આપણે કરવાનું છે. ડૉક્ટર સાહેબે આ કામ કર્યંુ છે આપણા ઘડતર અને ચણતર દ્વારા.
ડૉક્ટર સાહેબે આપેલ મંત્ર ‘સંઘકાર્ય એ જ જીવનકાર્ય’ હૃદયમાં લઈને આપ સૌ અહીંથી સમાજમાં જશો. અહીં તમે માત્ર શિક્ષિત થયા નથી, પણ દિક્ષિત પણ થયા છો. માનવતા, દયા, ભાઈચારો વગેરેની તમે દિક્ષા લીધી છે. તેમણે કહ્યું કે માનવી માનવીના કામમાં આવે તેનાથી મોટો કોઈ ધર્મ નથી, તેનાથી મોટી કોઈ પ્રાર્થના નથી. ડૉક્ટર સાહેબ જીવતો ધર્મ છે અને જીવતી પ્રાર્થના છે.
ડૉક્ટર સાહેબે સંઘની શરૂઆત કરી હતી ત્યારે કહ્યું હતું કે સંઘના સ્થાપક આપ સૌ છો. તમારી આજ્ઞા અને ઈચ્છા પ્રમાણે સંઘ આગળ ચાલશે. હું માત્ર નિમિત્ત છું, સંઘમાં વ્યક્તિનું મૂલ્ય નથી, સંઘકાર્યનું મૂલ્ય છે. સ્વયં અનુશાસન સ્વયંસેવકનું કર્તવ્ય હશે. ડૉક્ટર સાહેબના આ શબ્દો આજે સંઘનો મુદ્રાલેખ બની ગયો છે. તેમણે સંઘકાર્ય અને સ્વયંસેવકના ઉદાહરણો દ્વારા સેવાકાર્યનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે અંતમાં કહ્યું કે સંઘ કાર્ય જ આપણું જીવન કાર્ય છે. આ મંત્ર લઈ સમાજ વચ્ચે જઈ આપણે સેવા કરવાની છે.

વિશ્ર્વના લોકો હિન્દુ જીવનશૈલીને આદર્શમાની અપનાવી રહ્યા છે : મહેશભાઈ જીવાણી


સમારોપમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા
 ગુજરાત પ્રાંતના સહ પ્રાંતપ્રચારક મા. મહેશભાઈ જીવાણીના ઉદ્બોધનના મહત્ત્વના  અંશો
- ડૉક્ટર હેડગેવારજીના સમયમાં પોતાને ‘હિન્દુ’ કહેવાની કોઇ હિંમત નહોતુ કરતું. આવા સમયે ડૉક્ટર સાહેબે સમાજ જીવનના ઉત્થાન માટે એક શસ્ત્રનું નિર્માણ કર્યુ... જેનું નામ છે શાખા. તેમણે સંપૂર્ણ વિશ્ર્વમાં કલ્યાણની કામના કરનારી હિન્દુ વિચારધારાને સમાજમાં પુનર્જીવિત કરી. 
- કીડીને કણ અને હાથીને મણ આપવાની કલ્પના આપણી જીવનશૈલીમાં છે. પર સેવા કરવી એ વિશ્ર્વના લોકો માટે કલ્પના સમાન હતી ત્યારથી આ દેશમાં સેવાનો ધોધ વહી રહ્યો છે. આજે અનેક લોકો સેવા કરી રહ્યા છે અને તેના મૂળમાં હિન્દુ જીવનશૈલી જ છે. આ હિન્દુ વિચારધારાને આજે વિશ્ર્વના લોકો સ્વીકારતા થયા છે.
- આજે વિશ્ર્વ આખામાં પર્યાવરણ દિવસ મનાવવાની જરૂર પડી છે, પરંતુ હિન્દુ જીવન પદ્ધતિમાં પર્યાવરણ પ્રત્યેનો આદર પ્રેમ કોઈને શીખવવાની જરૂર નથી. પર્યાવરણ પ્રેમ અહીં જીવનશૈલીમાં છે.
- આપણી પરિવારની વ્યવસ્થા આદર્શ વ્યવસ્થા ગણાય છે. આજે વિશ્ર્વ આખુ આ વ્યવસ્થાને સ્વીકારી રહ્યું છે. આપણા પરિવારમાં સંપૂર્ણ સમાજનું હિત જોવા મળે છે.
- આવનારા સમયમાં એક બીજી સામાજિક ક્રાંતિની આજે જરૂર છે અને તે ક્રાંતિ છે સામાજિક સમરસતાની ક્રાંતિ... આજે વિશ્ર્વની કોઈ શક્તિ ભારતને તોડી શકતી નથી. પણ સમરસતા નહીં હોય તો આપણે જરૂર તૂટી જઈશું.
- ભગવાન રામે જે શબરીના એઠાં બોર ખાધા હતા તે શબરીના વંશજોના ઘરે શું આપણે જઈએ છીએ?
- આપણે નરસિંહ મહેતાના ભજન ગાઈએ છીએ પણ શું આપણે તેમના જેવી સામાજિક ક્રાંતિનો વિચાર કરીએ છીએ? આજે ભગવાન રામ, નરસિંહ મહેતા, વીર સાવરકરની જેમ સામાજિક સમરસતા માટે સમાજને ઊભો કરવાની જરૂર છે. ડૉ. આંબેડકરની ૧૨૫મી જન્મજયંતી પર આ સંદર્ભે આપણે તેમના આદર્શોને યાદ કરવાની જરૂર છે.
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દેશભક્તિ, સમરસતા, સેવાનો ભાવ જગાડવાનું કાર્ય કરે છે. આ બધુ જ શાખાના માધ્યમથી થઈ રહ્યું છે. આજે વિશ્ર્વ આખુ ભારતીય યોગ, પર્યાવરણની રક્ષા, હિન્દુ જીવનશૈલી, આયુર્વેદ વગેરેને સ્વીકારી રહ્યુ છે ત્યારે, વર્તમાન સમાજજીવનમાં આ બધી જ શૈલીને વણવાનું કામ સંઘ દ્વારા થઈ રહ્યું છે.
- સંઘનું કાર્ય દિશા આપવાનું છે. આપ સૌ સામાજિક સમરસતા, પર્યાવરણની રક્ષા, હિન્દુ જીવનશૈલીનું જતન જેવા કાર્યમાં જોડાવ. આ સામાજિક યજ્ઞમાં સહયોગ આપશો તો જ ભારતમાતાનો જય-જયકાર કરી શકીશું.



૪૧થી ૬૫ વર્ષના શિક્ષાર્થીઓનો ઉત્સાહ જોવા જેવો રહ્યો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - પશ્ર્ચિમ ક્ષેત્રનો ૪૦ વર્ષથી ઉપરના આયુગુટના સ્વયંસેવકો માટે વિશેષ વર્ગ પણ હળવદ ખાતે યોજાયો હતો. આ પશ્ર્ચિમ ક્ષેત્ર (ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર)ના વિશેષ પ્રથમવર્ષ શિક્ષાવર્ગમાં ગુજરાતના ૧૦૦ સહિત ૧૯૮ શિક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. સામાન્ય રીતે આ વિશેષ વર્ગ દર બીજા વર્ષે (એક વર્ષ છોડીને બીજા વર્ષે) યોજાતો હોય છે પણ આ વખતે મા. સરસંઘચાલક મોહનજી ભાગવતની ઇચ્છાથી સળંગ બીજા વર્ષે આ વર્ગ યોજાયો હતો. મહત્ત્વની વાત એ છે કે ગયા વર્ષ કરતા આ વિશેષ વર્ગમાં શિક્ષાર્થીઓની સંખ્યા વધી છે. ગયા વર્ષે ૧૩૦ શિક્ષાર્થીઓએ ભાગ લીધો હતો પણ આ વર્ષે આ સંખ્યા વધીને ૧૯૮ સુધી પહોંચી હતી. મહત્ત્વની વાત એ છે કે ૪૧ થી ૬૫ વર્ષની ઉંમરના આ શિક્ષાર્થીઓએ ૨ કિ.મી.નું પથસંચલન પણ કર્યુ હતું. આ વિશેષવર્ગના વર્ગાધિકારી દેવગિરિ પ્રાંતના મા. સંઘચાલક વેંકટેશસિંહ ચૌહાણ, વર્ગના પાલક અધિકારી વિદર્ભ પ્રાંતના મા. સહસંઘચાલક રામભાવુ વરકરે તથા તથા વર્ગકાર્યવાહ તરીકે કૈલાશભાઈ ત્રિવેદીએ જવાબદારી નિભાવી હતી.


- આ વિશેષ વર્ગમાં પ્રબુદ્ધ અને નવા શિક્ષાર્થીઓ ખૂબ સારી સંખ્યામાં
   ઉત્સાહપૂર્વક જોડાયા - ભાગ લીધો જે મહત્ત્વની વાત કહેવાય.
                                                                                - કૈલાશભાઈ ત્રિવેદી(વર્ગકાર્યવાહ- વિશેષ વર્ગ)


પ્રથમ વર્ષના શિક્ષાર્થીઓના અભિપ્રાયો

અહીં મને એક વિશેષ પાઠ એ શીખવા મળ્યો કે આપણે આપણા શુદ્ધ વાણી અને વર્તનથી કોઈપણ કઠોરમાં કઠોર માણસનાં હૃદયને પણ જીતી શકીએ છીએ.
- સોહિલ પરમાર
(સુરત મહાનગર, કતાર ગામ) તાનાજી રાત્રી શાખા

૨૧ દિવસ પૂર્ણ હિંદુ અને ભારતીય સંસ્કૃતિની રીતે જીવવાનું, સંઘને વધુને વધુ જાણવા, જીવવા અને માણવાનું. એક રીતે કહીએ તો પ્રથમ સંઘશિક્ષાવર્ગમાં આખા ગુજરાતને જાણી તેમજ માણી શકાય. અલગ-અલગ શિક્ષાર્થી તેમજ શિક્ષકો સાથે વાત-વાતમાં સંઘ અને ભારતની આગવી સંસ્કૃતિને તો જાણવા મળે જ છે સાથે સાથે સંઘ વિશે વધુ અને વધુ વિષયો સ્પષ્ટ થતા જાય છે અને સંઘ અને હિંદુ સંસ્કૃતિ વિશે અંત:કરણથી ભાવના જાગે છે.
- શ્રીમ્ ધર્મેન્દ્રભાઈ વાંસરાજ (રાજકોટ)

ઘરે ચપ્પલ લાઇનમાં પડ્યા હોય એટલે ખબર પડી જાય કે છોકરો વર્ગમાં જઈને આવ્યો છે. અમારા ભાગે સ્વચ્છતા વિભાગ છે. હું ઘરે કદી કચરો વળતો નથી, અહીં આવી સ્વચ્છતાનું મૂલ્ય અને પાઠ ખબર પડી.
- સંદીપ સતીષભાઈ સનુરા (પ્રબંધક-હળવદ)

વૈદિક સંસ્કૃતિ, પ્રાચીન સંસ્કૃતિ વગેરેનું વિશેષ મહત્ત્વ સમજાયુ. ઉપરાંત અનુશાસન, શિસ્ત, સામાજિક સમરસતા કેવી રીતે કેળવવી તેનું પણ વિશેષ જ્ઞાન પ્રાપ્ત થયું.
- તારકભાઈ મહેશભાઈ પંડ્યા
 (ભાડભૂત-ભરૂચ) વીર શિવાજી રાત્રી શાખા
વંશી વાદનનું જ્ઞાન મેં છ માસ પહેલાં ભાગનાં ઘોષ વર્ગમાં પ્રાપ્ત કર્યું. આજે મને વંશી વાદનમાં સાત રચનાઓ આવડે છે. - ધ્યાન ત્રિવેદી (વડોદરા)
સરદાર પટેલ સાયં શાખા
નિયમિતતા ઘટે ત્યારે ઘણું બધું અટકી જતુ હોય છે. અહીંથી અમે નિયમિતતા અને અનુશાસનના પાઠ શીખ્યા છીએ. આ ૨૦ દિવસ પછી એક નવી દૃષ્ટિ સાથે અમે સમાજમાં જઈશું.
- હર્ષ ભક્ત (શિક્ષાર્થી, વડોદરા વિભાગ)
માનવસેવાનું મહત્ત્વ અહીં સમજાયુ. વહેલા ઊઠવાનું મહત્ત્વ આ ૨૦ દિવસમાં ખબર પડી. અહીં શીખેલું અનુશાસન હું ઘરે જઈને પણ પાળીશ.
- વિજય ગૌસ્વામી
(શિક્ષાર્થી, પ. કચ્છ વિભાગ)
શારીરિક, બૌદ્ધિક, યોગ, સમૂહભોજન, સંગઠન... આ ૨૦ દિવસમાં આ સંદર્ભે ઘણું બધું જાણવા મળ્યું જેનો મારા જીવન પર સારો પ્રભાવ રહેશે...
- અજયપુરી ગૌસ્વામી
(શિક્ષાર્થી, કચ્છ વિભાગ)
જીવનમાં ઘણા કામો જાતે થઈ શકે તેવા હોય છતાં આપણે તે કામ બીજા પાસે કરાવીએ છીએ. પોતાનું કામ જાતે કરવાનો ગુણ અમે અહીં શીખ્યા જે જીવન ઉપયોગી છે. હવે હું ઘરે જઈને મારું કામ જાતે જ કરીશ.
- વર્શિત પટેલ
(શિક્ષાર્થી, કપડવંજ)

 હું અહીં વર્ગમાં છું અને મારા ઘરે (રાજસ્થાન) દીકરીનો જન્મ થયો છે. 

રામરાજ મીના છે તો રાજસ્થાનના વતની પણ નવસારી વિભાગ તરફથી પ્રથમ વર્ષ સંઘ શિક્ષાવર્ગમાં શિક્ષાર્થી તરીકે હાજર રહ્યાં હતાં. તેમનું કહેવું છે કે આજે હું આ વર્ગમાં આવીને ખૂબ ખુશ છું. હું અહીં વર્ગમાં છું અને મારા ઘરે (રાજસ્થાન) દીકરીનો જન્મ થયો છે. અહીં મારી સાંસ્કૃતિક, શારીરિક, બૌદ્ધિક કેળવણી થઈ જે જીવન ઉપયોગી બની રહેશે. હું એક કંપનીમાં સેફ્ટી મેનેજર તરીકે નોકરી કરતો હતો પણ મને અહીં આવવાનો સમય ન મળતા હું નોકરી છોડીને અહીં શિક્ષા લેવા આવ્યો છું. મારા મતે આ એક ઈશ્ર્વરીય કાર્ય છે. સારા કાર્યકર્તાઓનું અહીં નિર્માણ થાય છે. આ ૨૦ દિવસના અનુભવ પછી નોકરી છોડવાનો કોઈ રંજ નથી. જીવનપયોગી ઘણું બધુ શીખીને જઈ રહ્યો છું.

Monday, March 23, 2015

બેકર ઇચ્છતા હતા કે ગાંધીજી ખ્રિસ્તી બને

જ્યારે બ્રિટિશરોએ ગાંધીજીને ખ્રિસ્તી બનાવવા પ્રયત્નો કર્યા...
09.jpgગાંધીજી સ્વીકારે છે કે નાનપણથી જ એમણે હિન્દુ ધર્મના વિવિધ પંથો પ્રત્યે ઉદાર આત્મીય ભાવ કેળવ્યો હતો. તેમનો આખો પરિવાર વૈષ્ણવ હવેલી, શિવમંદિર તથા રામમંદિર રોજ જતો હતો. પિતાના મુસ્લિમ તથા પારસી મિત્રો પણ હતા, જે પોતપોતાના ધર્મો વિશે વાતો કરતા. ગાંધીજી આ બધી ચર્ચાઓ ધ્યાનથી સાંભળતા.
ગાંધીજી પોતાની આત્મકથામાં લખે છે કે, ‘‘આ બધી ચર્ચાઓના લીધે મારામાં બધા પંથો પ્રત્યે સહિષ્ણુતાની વૃત્તિ આવી ગઈ. ફક્ત ખ્રિસ્તીપંથ એક અપવાદ હતો, કારણ કે એ દિવસોમાં ખ્રિસ્તી મિશનરીઓ હાઈસ્કૂલ પાસે એક નુક્કડ પર ઊભા રહી હિન્દુ દેવ-દેવીઓ પર ગાળો વરસાવી પોતાના પંથનો પ્રચાર કરતા. હું આ સહન ના કરી શક્યો.’’
ગાંધીજી ઇંગ્લેન્ડમાં
વીસ વર્ષની ઉંમરે ગાંધીજી ઇંગ્લન્ડ ગયા. ત્યાં ગાંધીજી ખ્રિસ્તી સજ્જનોને પ્રેમથી મળતા. માન્ચેસ્ટરમાં એક શાકાહારી ભોજનાલયમાં તેમને એક ખ્રિસ્તી સજ્જન મળ્યા, જેઓ માંસ કે શરાબ લેતા ન હતા. તેમણે ગાંધીજીને બાઇબલ વાંચવા ખાસ ભલામણ કરી. ગાંધીજીએ આલ્ડ ટેસ્ટામેન્ટ, જેનેસિસ, ધ લુક આફ નંબર્સ, ન્યૂ ટેસ્ટામેન્ટ વાંચ્યાં. ગાંધીજીએ કહ્યું, ‘‘ગિરિ પ્રવચન મને ગમ્યાં પણ તેમાં મને ક્યાંક ક્યાંક ગીતાની સમાનતા જેવું લાગ્યું.’’
બેકર ઇચ્છતા હતા કે ગાંધીજી ખ્રિસ્તી બને
થોડા સમય પછી ગાંધીજી દક્ષિણ આફ્રિકા વકીલાત માટે ગયા. પ્રિટોરિયામાં જે મુખ્ય વકીલ હતા તેમના એટર્ની હતા એ. ડબલ્યુ. બેકર. તેમણે ગાંધીજીને ખ્રિસ્તીઓની પ્રાર્થનાસભાઓમાં લઈ જવાનું શરૂ કર્યંુ. તેમનો પ્રયાસ હતો કે ગાંધીજી ખ્રિસ્તી બની જાય. ગાંધીજીનો વિચાર હતો કે પહેલાં પોતાના હિન્દુ ધર્મને બરાબર જાણી લેવો તે પછી વિચારવું કે એને છોડવો કે નહીં.
ખ્રિસ્તીઓ ગાંધીજીને ચર્ચમાં લઈ ગયા
ખ્રિસ્તી પ્રાર્થના -સભાઓમાં ગાંધીજીનો કુમારી હેરિસ, કુમારી ગબ અને મિ. કાટ્સ સાથે પરિચય કરાવવામાં આવ્યો. પ્રાર્થનાસભામાં ગાંધીજીના પહોંચ્યા પછી એ પ્રાર્થના પણ સૌ ખ્રિસ્તી સજ્જનો કરતા કે, ‘અમારા આ ‘નવા ભાઈ’ (એમ. કે. ગાંધી)ને પણ પ્રભુ ઈશુ રસ્તો બતાવે. પ્રભુ ઈશુ, જેણે અમને સૌને બચાવ્યા છે તેઓ આમને (એટલે કે ગાંધીજીને) પણ બચાવે.’
કાટ્સે ગાંધીજીને ખ્રિસ્તી ધર્મનાં ઘણાં બધાં પુસ્તકો વાંચવા આપ્યાં. ગાંધીજી લખે છે કે, ‘1893માં હું આમાંના ઘણાં પુસ્તકો વાંચી ગયો. આ પુસ્તકોનો એ તર્ક હતો કે, ‘‘ઈશુ એ જ ઈશ્ર્વરનો એકમાત્ર અવતાર છે, વળી તે ઈશ્ર્વર અને મનુષ્ય વચ્ચે મધ્યસ્થતા કરવાવાળો છે.’ પણ એ વાત મને જરા પણ પ્રભાવિત ના કરી શકી.
આ માળા તો મારા માતાની ભેટ છે
ગાંધીજી લખે છે કે મિ. કાટ્સ મેં પહેરેલી તુલસીની માળાની પાછળ પડી ગયા. કાટ્સે મને પૂછ્યું, ‘‘શું તમે આ માળામાં આસ્થા રાખો છો ? ગાંધીજીએ કહ્યું કે આ માળા મારાં માતાની પવિત્ર ભેટ છે. હું આના રહસ્યમય મહત્ત્વને જાણતો નથી, પરંતુ પર્યાપ્ત કારણ ના હોય ત્યાં સુધી હું આ માળાને ફેંકી ના શકું.’’
ગાંધીજી આગળ લખે છે કે, ‘‘કાટ્સને મારા ધર્મ પ્રત્યે કોઈ આદર ન હતો. તેઓ મને આમાંથી ઉગારવા માંગતા હતા. તેઓ કહેતા કે અન્ય ધર્મોમાં કદાચ થોડું ઘણું સત્ય હોય તો પણ સત્યનો વાસ્તવિક પ્રતિનિધિ તો ખ્રિસ્તીધર્મ જ છે. એને અપ્નાવું તો જ મારો ઉદ્ધાર થશે. ફક્ત ઈસા મસીહની મધ્યસ્થતાથી જ મારાં પાપ દૂર થઈ શકશે. ઈશુના શરણમાં આવ્યા વગર અને ખ્રિસ્તી બન્યા વગર ભલે ગમે તેટલાં સદાચારપૂર્ણ કાર્ય કરો, બધું વ્યર્થ છે.’
કોટ્સના ધમપછાડા
ગાંધીજી લખે છે કે કાટ્સે મને અનેક કટ્ટરપંથી ખ્રિસ્તીઓનો મેળાપ કરાવ્યો. એમાંના એક Plya-mouth Borther નામના ખ્રિસ્તી સમુદાયના અનુયાયીઓનો પરિવાર પણ હતો. આ સંગઠનના વડાએ મને સમજાવતાં કહ્યું કે, ‘‘(હિન્દુ ધર્મના) આ ચક્કરમાં પડ્યો રહીશ તો તારો ક્યારેય છુટકારો નહીં થાય. અમારો વિશ્ર્વાસુ પંથ એટલો પરિપૂર્ણ છે કે અમારાં બધાં પાપોનો ભાર ઈસા મસીહ પર નાખી દઈએ છીએ, કારણ કે તે જ એક પ્રભુ-પુત્ર છે. ભગવાનના આ એક માત્ર પુત્રનું વચન છે કે જે મારા પર વિશ્ર્વાસ કરશે તેને અનંત જીવન મળશે.’’
ગાંધીજી કહે છે કે, ‘આના પર મેં વિનમ્ર જવાબ આપ્યો કે, ‘હું પાપ કરું અને એનું ફળ મને ના મળે ? મારી સાધના તો પાપ-કર્મ અને પાપ્ના વિચારમાત્રથી મુક્તિ મેળવવાની છે. આ લક્ષ્ય સિદ્ધ થાય ત્યાં સુધી તો હું વ્યગ્ર રહીશ જ.’’
ગાંધીજી લખે છે કે, ‘મારા ભવિષ્ય માટે બેકર ચિંતિત હતા. તેઓ મને વેલિંગ્ટન સમારંભમાં લઈ ગયા. બેકરને આશા હતી કે ત્યાંના ધાર્મિક વાતાવરણથી પ્રભાવિત થઈને હું ખ્રિસ્તી ધર્મને ગળે લગાવી દઈશ. પ્રાર્થનાસભામાં બધા લોકોએ પ્રાર્થના કરી કે મારામાં ઈશુનો પ્રકાશ પ્રકાશિત થાય. સમારંભ ત્રણ દિવસ ચાલ્યો. એમની આસ્થા માટે મારા મનમાં પ્રશંસાનો ભાવ જાગ્યો, પરંતુ મારો ધર્મ જ હું બદલી નાખું એનું તો કોઈ કારણ મારી નજરમાં ન આવ્યું. તેઓ લખે છે કે, ‘ખ્રિસ્તી ધર્મ અનુસાર ફક્ત મનુષ્યોમાં જ આત્મા છે અને બીજા પ્રાણીઓમાં નહીં’ એ વાત મારી શ્રદ્ધાથી વિપરીત છે. વળી ખ્રિસ્તીપંથનું માનવું છે કે સ્ત્રીઓમાં આત્મા નથી હોતો. સ્ત્રીઓમાં માત્ર સામાન્ય મન અને ભાવના હોય છે એ વાત પણ માની શકાય તેમ નથી.
મિશનરીઓના ક્ષુલ્લક પ્રયત્નો
ગાંધીજીને પ્રભાવિત કરવા માટે મિશનરીઓએ કેટલાક ક્ષુલ્લક પ્રયત્નો પણ કર્યા. એક ઉદાહરણ જોઈએ.
સન 1924માં ત્રીજી નવેમ્બરે એક સ્વિસ મિશનરી ગાંધીજીને મળ્યા. મહાદેવભાઈ દેસાઈએ એમની ડાયરીના ચોથા ખંડના પાના 86 ઉપર એનું વર્ણન આવું કર્યંુ છે -
મિશનરી બોલ્યા :     ‘આપ્ને જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ અને આખાય યુરોપ્ના લોકો ઓળખે છે, કેમકે તમે એક શ્રેષ્ઠ ખ્રિસ્તી છો.’’
ગાંધીજી હસ્યા અને બોલ્યા    :    ‘હું ખ્રિસ્તી નથી.’
પાદરી બોલ્યા : ‘પણ તમે ખ્રિસ્તી સિદ્ધાંતો(સત્ય, અહિંસા)નું પાલન કરો છો.’
ગાંધીજી બોલ્યા : ‘એ સિદ્ધાંતો મારા ધર્મમાં પણ નિરૂપિત કરવામાં આવ્યા છે.’
પાદરી બોલ્યા : ‘પણ ખ્રિસ્તી પંથમાં એનું સવિશેષ નિરૂપણ કરવામાં આવ્યું છે.’
ગાંધીજીએ કહ્યું : ‘એ તો શંકાસ્પદ છે.’
25 વર્ષની ઉંમરના ગાંધીજી લખે છે કે, ‘જેવી રીતે ખ્રિસ્તી મિત્રોનો પ્રયાસ હતો કે હું ખ્રિસ્તી બની જાઉં, તેવી રીતે મુસલમાન મિત્રોનો પ્રયાસ હતો કે હું મુસ્લિમ બની જાઉં. આફ્રિકામાં અબ્દુલ્લા શેઠ કાયમ ઇસ્લામની ખૂબસૂરતી બતાવતા.
આમ, ગાંધીજીને સનાતન ધર્મમાં વિશ્ર્વાસ હોવા છતાં તેમના મનમાં આપણા ધર્મ વિશે જાણવાની ખૂબ જિજ્ઞાસા ઊભી થઈ હતી. તેમના મનમાં અનેક પ્રશ્ર્નો હતા જેના તેઓ સમાધાનકારી ઉત્તરો ઇચ્છતા હતા, જેમાંથી એમને સાચું માર્ગદર્શન મળે.
ગાંધીજીને મળેલું રાયચંદભાઈનું માર્ગદર્શન
10.jpgગાંધીજી લખે છે કે, આ બધા પ્રયાસોથી મને જે મુશ્કેલી થઈ એ માટે મેં રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર)ને 20 પ્રશ્ર્નોનો એક પત્ર લખ્યો. બીજા અધિકૃત વિદ્વાનોને પણ લખ્યું. રાયચંદભાઈનો જવાબ મને સંતોષકારક અને શાંતિકારક લાગ્યો. અવારનવાર રાયચંદભાઈએ આપેલા માર્ગદર્શનથી મારા મનની શંકાઓ નિર્મૂળ થઈ ગઈ.’’ આમ, રાયચંદભાઈના સંસર્ગથી ગાંધીજીના મનમાં જાગેલા પ્રશ્ર્નોના જવાબ તેમને મળી ગયા. મિશનરીઓએ સનાતન ધર્મની વિરુદ્ધમાં જગાવેલી શંકાઓ ધીમે ધીમે શાંત થવા લાગી. સનાતન ધર્મની આધ્યાત્મિક વાતોમાં રહેલી નક્કરતા અને સત્ય તેમના મનમાં વધુ ને વધુ દ્ઢ થતાં ગયાં. અને તેના પરિણામરૂપે જ ગાંધીજી બોલેલા કે, ‘‘હું હિન્દુ છું એટલું જ નહિં પણ હું શુદ્ધ સનાતની છું.’’
મનોમંથન પછી મેળવેલા સત્યને આધારે તેમની દ્ષ્ટિ સાવ સ્પષ્ટ થઈ ગઈ. 1લી માર્ચ, 1929ના રોજ વરિષ્ટ પાદરી મોટ ગાંધીજીને મળ્યા. મોટે કોશિષ કરી કે ગાંધીજી ખ્રિસ્તી પંથની શ્રેષ્ઠતાનો સ્વીકાર કરી લે. પાદરી મોટે કહ્યું, ‘‘અમારું કર્તવ્ય છે કે અમે અમારી પાસેથી ‘અધિકતમ સત્ય’નો વિચાર અમારા ભારતીય સાથીઓમાં વહેંચીએ.’’ ગાંધીજીએ પાદરીના આ વિચારોને કપટવાણી કહી.
ગાંધીજીએ એ પણ જોયું કે ભારતમાં સામાન્ય રીતે ખ્રિસ્તીપંથ સ્વીકારવાનો અર્થ એ છે કે ભારતીયને રાષ્ટ્રિયતાવિહીન બનાવવા અને તેમનું યુરોપીયકરણ કરવું.
સન 1935માં એક મિશનરીએ ગાંધીજી સાથેની મુલાકાતમાં પૂછ્યું, ‘‘શું તમે ધર્માંતરણ માટે મિશનરીઓના ભારત આગમન પર પ્રતિબંધ મૂકવા ઇચ્છો છો ?’’
ગાંધીજીએ જવાબ આપ્યો, ‘‘જો સત્તા મારા હાથમાં હોય અને હું કાયદો બનાવી શકું તો ધર્માંતરણનો આ બધો ધંધો જ બંધ કરાવી દઉં.’’
(નોંધ : જીજ્ઞાસુવાચકને વિશ્ર્વસંવાદ કેન્દ્ર અમદાવાદ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘ગાંધીજી અને ખ્રિસ્તીપંથ - લેખક : રામેશ્ર્વર મિશ્ર અને કુસુમલતા કેડિયા - વાંચવા વિનંતી.)’
સંદર્ભ ગ્રંથો
(1)   ‘ગાંધીજી અને ખ્રિસ્તીપંથ’ - રામેશ્ર્વર મિશ્ર અને કુસુમલતા કેડિયા. પ્રકાશન : વિશ્ર્વ સંવાદ કેન્દ્ર, અમદાવાદ.
(2)   સત્યના પ્રયોગો - ખંડ - 1, ખંડ - 2 એમ. કે. ગાંધી
(3)   ‘સંપૂર્ણ ગાંધી વાઙ્મય ખંડ - 64’